નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ ગુજરાતમાં મોટા પાયે લોકોની જમીન પડાવી લેવાનું કાવતરૂ ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે ગીર સોમનાથના (Gir Somnath) કોડીનાર (Kodinar) તાલુકામાં વિધવા મહિલાની (widow woman) જમીન ભુમાફિયાઓએ પચાવી પાડવાના (Land grabbing) પ્રયાસો શરૂ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ જમીન પ્રકરણમાં મોટા ગજાના રાજકારણીના સંબંધીઓ પણ સંડોવાયેલા હોવાનો પીડિત મહિલાનો આરોપ છે. આ મામલો પ્રકાશમાં આવતા સ્થાનિક આગેવાનો દ્વારા કોડીનાર મામલતદારને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

ગત 24 મેના રોજ કોડીનાર તાલુકા સમસ્ત સમાજ લડત સમિતી દ્વારા એક ગંભીર આક્ષેપ સાથેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મામલતદાર મારફતે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી પટેલને આપવામાં આવેલા આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોડીનારના વિધવા મહિલા રસીલાબેનની જમીન ભુમાફિયાઓ પચાવી લેવા માટે સક્રિય બન્યા છે. તેમજ તેમના વિરૂધ્ધ રસીલાબેને ફરિયાદ કરતા ફરિયાદ પરત ખેંચી લેવા માટે માફિયાઓ દ્વારા ધાકધમકી અને ખોટી એક્ટ્રોસીટીની ફરિયાદો કરી પરેશાની કરવામાં આવી રહી છે. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાંડમાં પૂર્વ સાંસદ દિનુબોધાના ભાણેજ જમાઈ માનસિંગ રાઠોડ સહિત રણજીત જાદવ, વિવેક રાઠોક સહિતના આરોપી સંડોવાયેલા છે.
આવેદનમાં જણાવ્યા મુજબ વિવાદિત જમીનનો કેટલોક હિસ્સો અગાઉ આરોપીઓને વેચી દેવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આરોપીઓ વધારાની જમીન પચાવી પાડવા માટે સક્રિયા બન્યા હતા અને રસીલાબેનને પરેશાન કરી રહ્યા છે. આ મામલે ફરિયાદ કરવામાં આવતા રસીલાબેનને દબાણ અને ધામધમકીથી ફરિયાદ પરત ખેંચી લેવા મજબૂર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓ દ્વારા ખોટી એટ્રોસીટી સહિતની ખોટી ફરિયાદ રસીલાબેન પર કરવામાં આવી હતી. ઉપરાંત આરોપીઓ દ્વારા રાજકીય વગ વાપરી રસીલાબેનના ઘરનું પાણીનું જોડાણ, વીજળીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. તેમજ ભય પેદા કરવા માટે રાત્રિના સમયે આરોપીઓ દ્વારા રસીલાબેનના ઘર પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી ન્યાય માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે પૂર્વ સાંસદ દિનુ બોધાના ભાણેજ જમાઇ માનસિંગ રોઠોડ તેમજ શિવા સોલંકી પર ગંભીર આક્ષેપો કરવામાં કરવામાં આવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સમગ્ર મામલે કોડીનાર પોલીસ શું કાર્યવાહી કરે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








