Ahmedabad serial blast case Gujarat High court verdict: ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008 ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા 38 દોષિઓને સંભળાવાયેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કારાવાસની સજાને કાયમ રાખી છે.
આ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા.
આ અગાઉ વર્ષ 2022માં હાઈકોર્ટે રાજ્ય સરકારની તે અરજી પર નોટિસ આપી હતી, જેમાં ખાસ અદાલત દ્વારા સંભળાવાયેલી ફાંસીની સજાની પૃષ્ટી કરવાની વિનંતી કરાઈ હતી. ખાસ અદાલતે વર્ષ 2022માં ગેરકાયદે ગતિવિધિને લઈને યુએપીએ અને ભારતીય દંડ સંહિત્તાની કલમ 302 અંતર્ગત વિવિધ જોગવાઈઓ મુજબ 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા આપી હતી. બાકીના 11 દોષિતોને મૃત્યુ સુધી આજીવન કારાવાસની સજા આપી હતી.
હાલના આદેશ પ્રમાણે મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ઘાયલોને 5-5 લાખ અને સામાન્ય ઘાયલોને 1-1 લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે. તેમાં એ પણ કહેવાયું છે કે, રાજ્ય સરકારે આ વળતર ચુકવવાનું રહેશે, જેમાંથી જે અગાઉ વળતર ચુકવાઈ ગયું છે. તે આ રકમમાંથી બાદ કરી દેવાનું છે.
સ્પેશ્યલ કોર્ટે મૃતકોના પરિજનોને 1-1 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા અને સામાન્ય ઘાયલ લોકોને 25-25 હજાર રૂપિયા વળતર આપવાનો પણ આદેશ કર્યો. સાથે જ દોષિતો પર દંડ પણ લગાવાયો હતો.
કોર્ટે કહ્યું કે, આ આરોપીઓના ગુનાના મૂળ સુધી પહોંચવા વાળી જાણકારીઓ હાંસલ કરવી ખુબ અઘરી હતી પરંતુ તપાસ અધિકારીઓએ વ્યાપક રીતે મહેનત કરીને પુરાવા ભેગા કર્યા તે મહત્વનો આધાર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે 26, જુલાઈ 2008એ અમદાવાદમાં એક બાદ એક ઘણા વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. જેમાં સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, બસો, સાયકલો અને ગાડીઓમાં જાહેર સ્થાનો પર બ્લાસ્ટ કરાયા હતા. આ મામલાઓમાં 56 લોકોના જીવ ગયા હતા.








