નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ બિહારમાં મતદારોની યાદીમાં વિશેષ પુનરિક્ષણનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ઈલેક્શન કમિશનના આ આદેશને હવે કોર્ટમાં પડકરાવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને તે વચ્ચે લોકો વોટર લિસ્ટના વેરિફિકેશનને લઈને ઘણા હેરાન થઈ રહ્યા છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ બિહારના તમામ ગામમાં લોકો એ જ વાત કરી રહ્યા છે કે તેમની પાસે ઓળખના નામે ફક્ત આધારકાર્ડ, રાશન કાર્ડ જેવા જ બે ત્રણ ડોક્યુમેન્ટ્સ છે. જોકે ચૂંટણી પંચે ડોક્યુમેન્ટ્સ જે માગ્યા છે તે તેમની પાસે નથી.
ચૂંટણી પંચના નિર્દેશો પ્રમાણે, મતદાર યાદીના વેરિફિકેશનનું કામ 25 જુલાઈ સુધીમાં પુરુ થઈ જશે. બિહારના ગામોમાં લોકો રહેઠાણ અને જાતિના પ્રમાણ પત્રને લઈને પરેશાન થઈ રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ સર્ટિફિકેટને જલ્દીથી જલદી ઈશ્યૂ કરવાના નિર્દેશ આપ્યા છે. ઘણા લોકો આ અંગે પણ જાણતા નથી.
ચૂંટણી પંચનો નિર્દેશ છે કે, જે લોકો 2003થી મતદાર યાદીમાં શામેલ હતા, તેમની યાદીનો પ્રૂફ સ્વરુપે ઉપયોગ કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિનું નનામ 2003ની યાદીમાં નથી તો તે પોતાની માતા કે પિતાના નામ જો ત્યારની યાદીમાં શામેલ છે તો તે સૂચીનો ઉપયોગ કરી શકે છે. તેનો સીધો મતલબ છે કે 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના મતદારોને (જે 2003માં 18 વર્ષના નહોતા) વધુ દસ્તાવેજો આપવા પડશે. જે લોકો આ પ્રક્રિયા પુરી કરશે, ફક્ત તેમના જ નામ 1 ઓગસ્ટે પ્રકાશિત થવાની મતદાર યાદીમાં શામેલ કરવામાં આવશે. ઈલેક્શન કમિશન દ્વારા જે 11 દસ્તાવેજ નક્કી કરવામાં આવ્યા છે તે તેમના માટે છે જેમના નામ 2003ની મતદાર યાદીમાં નહોતા.
જેમ કે, કોઈ PSU કર્મચારી કે પેંશનરનું ઓળખ પત્ર/પેંશન ચુકવણી આદેશ. 1 જુલાઈ 1987થી પહેલા સરકાર/ સ્થાનિક સ્વરાજ/ બેંક / પોસ્ટ વિભાગ / એલઆઈસી / પીએસયુ દ્વારા ઈશ્યૂ કરાયેલું કોઈ પણ ઓળખપત્ર / પ્રમાણ પત્ર / દસ્તાવેજ. સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર. માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ, મેટ્રિક્યુલેશન અથવા અન્ય શૈક્ષણિક પ્રમાણપત્ર, રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, OBC/SC/ST અથવા કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં અસ્તિત્વમાં છે), કુટુંબ રજિસ્ટર, જમીન અથવા ઘર ફાળવણી પ્રમાણપત્ર.
હવે આ જ મતદાર યાદી વિશેષ પુનરિક્ષણ એટલે કે SIR (Special Intensive Revision) નો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચ સામેની આ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવાયું છે કે ચૂંટણી પંચનો આ આદેશ મનસ્વી છે. તેનાથી લાખો મતદારો પોતાના અધિકારથી વંચિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે આ મામલામાં દખલ કરવાની પણ માગ કરવામાં આવી છે.
વાસ્તવમાં, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે, કોઈપણ ચૂંટણી પહેલા મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે જે એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ વખતે ચૂંટણી પંચે 1 જુલાઈથી મતદાર યાદીની ખાસ સઘન સમીક્ષા શરૂ કરી છે. વિપક્ષ આ અંગે પ્રશ્નો ઊભા કરી રહ્યો છે અને તેના ઇરાદા પર શંકા કરી રહ્યો છે. ચૂંટણી પંચે દલીલ કરી હતી કે બિહારમાં મતદાર યાદીની ગંભીર સમીક્ષાની છેલ્લી પ્રક્રિયા 2003 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે થઈ નથી. એટલા માટે આ ઝુંબેશ જરૂરી છે. સમીક્ષા માટે, ચૂંટણી પંચે મતદારો માટે એક ફોર્મ તૈયાર કર્યું છે; 1 જાન્યુઆરી, 2003 ના રોજ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોએ ફક્ત આ ગણતરી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. તેમને કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. બિહારમાં આવા ૪.૯૬ કરોડ મતદારો છે. ચૂંટણી પંચે ૨૦૦૩ની આ મતદાર યાદી પોતાની વેબસાઇટ પર મૂકી છે.