નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : સનાતન ધર્મનો પવિત્ર તીર્થ સ્થાન એવા જૂનાગઢના ગિરનાર પર્વત (Girnar pilgrimage site in Junagadh) પર જૈન સંપ્રદાય પ્રેરિત સંસ્થા દ્વારા ગેરકાયદેસર રીતે થતા બાંધકામ અને કબજાને લઈને સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. ગિરનાર તીર્થ પર કરાયેલા જૈન સંપ્રદાય દ્વારા કરાયેલા ગેરકાયદેસર કબજો (Jain sect’s illegal occupation of Girnar), બાંધકામ, ધાર્મિક સ્થાનો પર થતી વન વિભાગની કનડગત સહિતની 60 માગણીઓ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ કલેક્ટર (Junagadh Collector) થકી રાષ્ટ્રપતિને અપાયું છે. આ આવેદનપત્રની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય, સંત સમિતિ અને અખાડા પરિષદને મોકલામાં આવી છે.
ગુરૂવારે ‘ગિરનાર બચાવો, ગિરનાર સનાતનનું ગૌરવ છે, એકતા સાથે ગિરનારની રક્ષા, અધિકાર માટે લડશું પણ શાંતિથી, ધર્મની સાથે કોઈ સમજુતી નહી, અમારો ઈતિહાસ અમારો અધિકાર’ સહિતના સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે વિશાળ રેલી યોજાઈ હતી. જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને આવેદન પત્ર આપ્યું હતું. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા જૂનાગઢ ખાતે યોજાયેલી જાહેર સભામાં સંતોએ ગિરનાર તીર્થ પર થઈ રહેલા અતિક્રમણની સાજીશને લઈને આડકતરા આકરા પ્રહારો કર્યા હતા.

સીતાવનના બંને દરવાજાની સાઈડમાં જંગલની હદમાં બે ડેરી બનાવવામાં આવી છે ત્યાં ખોટી રીતે ચરણ પાદુકા મુકી સિમેન્ટ-કોંક્રિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. એક જગ્યાને દિશા કલ્યાણ અને બીજી જગ્યાને કેવલ જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે તે તાત્કાલીક દુર કરવું. ગૌમુખી ગંગા તરફ જતા રામજી મંદિરવાળી જગ્યાથી આગળ જૈન શ્વેતાંબર સંપ્રદાય અને તેના વહિવટકર્તા દેવચંદ લક્ષ્મીચંદ પેઢી દ્વારા 1980થી અત્યાર સુધીમાં અંદાજે 60 હજાર ચોરસ ફૂટનું વન વિભાગની હદમાં બાંધકામ કરવામાં આવેલું છે ત્યાં સ્મારક બનાવી કબજો કર્યો છે તે દૂર કરવું. ગિરનાર ક્ષેત્રમાં જૈનમુનીઓના અગ્નિસંસ્કાર કે સમાધી સ્થાન ન બનાવવા દેવા, ગિરનાર પર આવેલા કુંડને તાકિદે ખુલ્લા કરાવવા, ધાર્મિક જગ્યાઓમાં વન વિભાગની કનડગત બંધ કરવી સહિતની 60 માંગણીઓ કરવામાં આવી હતી.








