દાહોદ: જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાયડી નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર RTO ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રક ડ્રાઇવરને ઢોર માર મારવાની ઘટનાએ ચકચાર મચાવી છે. ટ્રક ન રોકતા રોષે ભરાયેલા RTO ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે ટ્રક આગળ બેરિકેટ ફેંકી તેને રોકાવી હતી અને ત્યારબાદ લાકડી વડે ડ્રાઇવર પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, મુંબઈથી દિલ્હી જઈ રહેલી એક ટ્રકને આરટીઓ અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રક ચાલકે ટ્રક ન રોકતા ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે અચાનક ટ્રક આગળ બેરિકેટ ફેંકી દીધું હતું, જેના કારણે ટ્રકનું ટાયર પંચર થઈ ગયું. આ પછી, ઇન્સ્પેક્ટર પરમાર અને અન્ય બે કર્મચારીઓએ ટ્રક ડ્રાઇવર નાસીરભાઈને કેબિનમાંથી નીચે ઉતારી લાકડાના હાથાથી માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન હાઇવે પરથી પસાર થતા મોટાહાથીધરા ગામના સરપંચના પતિ વિનેશભાઈ રાવતે આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. વીડિયો ઉતરી રહ્યો હોવાની જાણ થતાં જ ઇન્સ્પેક્ટર પરમારે મારપીટ બંધ કરી દીધી હતી. જ્યારે વિનેશભાઈએ માર મારવાનું કારણ પૂછ્યું તો અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહોતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પીડિત ડ્રાઇવર નાસીરભાઈએ આરોપ લગાવ્યો કે, “અમે દર વખતે એન્ટ્રીના પૈસા આપીને જ જઈએ છીએ અને આ વખતે પણ પૈસા આપવાની વાત કરી, છતાં મને માર મારવામાં આવ્યો.”
બીજી તરફ, RTO ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે આરોપોને નકારતા જણાવ્યું કે, “ડ્રાઇવર ટ્રક રોક્યા વગર ભાગી રહ્યો હતો. અમે તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, માર માર્યો નથી. અમે ડ્રાઇવર વિરુદ્ધ સરકારી કામગીરીમાં અડચણરૂપ થવાની ફરિયાદ નોંધાવી છે.” જોકે અહીં સપષ્ટ પણે વીડિયોમાં અધિકારી ફરી વળ્યા હોવાનું જોઈ શકાય છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું અત્યાર સુધી તો ધ્યાને આવ્યું નથી.