દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ): આણંદ (Anand) જીલ્લાની સિવિલ હોસ્પિટલ પેટલાદ (Petlad) ખાતે આવેલ છે. જ્યાં દિવસ દરમ્યાન આશરે દસથી બાર પ્રસુતિ કરવામાં આવતી હોય છે. ગત ત્રણેક દિવસ દરમ્યાન જન્મેલ કેટલાક નવજાત શિશુને ICUમાં રાખવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળક આજરોજ બપોરના સમયે ગુમ થઈ ગયું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી હતી. જેને કારણે હોસ્પિટલમાં ગુમ થયેલા શિશુના કુટુંબીજનોએ હોબાળો મચાવ્યો હતો. છેવટે ગુમ થયેલ બાળક અન્ય ભળતાં નામ વાળી મહિલાને આપી દેતા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસની દરમ્યાનગીરી અને સીસીટીવી ફૂટેજને કારણે રાત્રે ૯ કલાકે બાળક મળી આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, પેટલાદ સિવીલ હોસ્પિટલ (Petlad Civil Hospital) ખાતે ગત તા.૧૪ ઓક્ટોબરના રોજ જશોદાબેન મહેશભાઈ ઠાકોર (રહે.કાંધરોટી)ને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓની નોર્મલ પ્રસુતિથી બાળકનો જન્મ થયો હતો. પરંતુ આ બાળકને કમળાની સામાન્ય અસર હોવાના કારણે ICUમાં સારવાર અપાતી હતી. આજરોજ બપોરે એક કલાકે બાળકને સારવાર આપવા ICUમાં મૂકવા ડોક્ટર દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જશોદાબેનના બાળકને ફિડીંગ આપવાનો સમય થતાં બપોરે આશરે ચાર વાગ્યે બાળકને લેવા ICUમાં ગયા હતા. જ્યાંથી તેઓને બાળક ICUમાં નહીં હોવાનો જવાબ મળ્યો હતો. જેને લઈ બાળકના માતા-પિતા સહિત કુટુંબીજનો ડઘાઈ ગયા હતા. જેથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. કાપડીયાએ તપાસ કરતા બાળક ખરેખર ICUમાં નહીં હોવાથી તેઓએ પેટલાદ ટાઉન પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટને બાળક મિસીંગ હોવાની માહિતી આપી હતી. જેથી પેટલાદ ટાઉન પોલીસ કાફલો તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાંથી ઘટનાની સમગ્ર વિગતો અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ત્રણેક કલાકની જહેમત બાદ રાત્રે 9 કલાકે જાણવા મળેલ કે જશોદાબેનનું બાળક ફિડીંગ માટે અન્ય દર્દી જ્યોત્સનાબેન તળપદા (રહે.પીપળાવ) ને આપી દેવામાં આવ્યું હતું. જેથી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. કાપડીયાએ તાબડતોબ બાળક લેવા પીપળાવ મુકામે એમ્બ્યુલન્સ રવાના કરી હતી. જે પરત આવતા નવજાત શિશુના પગમાં લગાવેલ સ્ટીકર ઉપર લખેલ માતાના નામ થકી ઓળખ થઈ હતી. જેથી રાત્રે ૯ કલાકે સિવિલ સુપ્રિ. ડૉ. કાપડીયા, ટાઉન પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટ, પીએસઆઈ ઝાલા, હોસ્પિટલના સ્ટાફ તથા બંન્ને બાળકના પરિવારજનોની ઉપસ્થિતિમાં બાળક જશોદાબેનને સુપ્રત કરવામાં આવ્યું હતું.

ગંભીર બેદરકારીનો લૂલો બચાવ
આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પરંતુ આ અંગે હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ લૂલો બચાવ કરી ભળતાં નામને કારણે આવું બન્યું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી. જો કે આ અંગે સિવિલ સુપ્રિ. ડૉ. કાપડીયાએ જણાવ્યું હતું કે, જ્યોત્સનાબેન તળપદાના સાસુનું નામ જશોદાબેન છે. જ્યારે અહીંયા જશોદાબેન ઠાકોર પણ પ્રસુત મહિલા છે. આ બંન્નેના બાળકો ICUમાં સારવાર હેઠળ છે. આ બંન્ને બાળકો બેબી બોય જ છે. આજે જ્યારે ICUના સ્ટાફ દ્વારા ફિડીંગ હેતુ બાળક આપવા જશોદાબેનનું નામ ઉચ્ચારતા તે બાળક જ્યોત્સનાબેનના સાસુ જશોદાબેન લઈ ગયા હતા. જેથી આ સમગ્ર ઘટના બનવા પામી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








