Loot case of Veraval: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની ધાડની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ગત 19 જૂનની રાત્રે આશરે 1 વાગ્યાના સમયે બંધક બનાવી 2.47 કરોડ રૂપિયા રોકડા, અંદાજે 2 લાખ રૂપિયાનું સોનું, એક રાઇફલ અને એક મોબાઇલ ફોનની લૂંટ ચલાવી 4થી 5 જેટલા બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થયું હતું. રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓને શોધવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સમગ્ર મામલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મધરાત્રી દરમિયાન દરવાજો તોડીને ચારથી પાંચ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. અવાજ સાંભળતા તેઓ જાગી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમને ડરાવી-ધમકાવીને એક બાજુ બેસાડી દીધા હતા અને કબાટમાંથી 2 કરોડ 47 લાખ રૂપિયા રોકડા, અંદાજે 2 લાખ રૂપિયાનું સોનું, એક રાઇફલ અને નાનો મોબાઇલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે રાત્રિના સમયે બનેલી આ ધાડની ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે પણ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લૂંટારુઓએ ઘરના માલિક જીતેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય ઈજા પહોંચાડી ડરાવી-ધમકાવીને એક બાજુ બેસાડી દીધા હતા અને ત્યારબાદ કબાટમાં રહેલી રોકડ રકમ, સોનું અને રાઇફલ લઈ ફરાર થઈ ગયા હતા. રાત્રે આશરે 2 વાગ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક PI, DSP અને SP સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. સાથે જ FSL અધિકારીઓ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોએ જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. હાલ પોલીસે ધાડનો ગુનો નોંધીને આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ વધારી છે.








