Monday, January 20, 2025
HomeSeriesAkshardham AttackDCP ડી. જી. વણઝારાએ મુફતીને પુછ્યું, “અક્ષરધામ પર અટેક કરનારાને તમે મળ્યા...

DCP ડી. જી. વણઝારાએ મુફતીને પુછ્યું, “અક્ષરધામ પર અટેક કરનારાને તમે મળ્યા હતા?”

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-28): Akshardham Temple Attack Series : મૌલાના અબ્દુલા અને મુફતી કયુમને ક્રાઇમબ્રાંચ (Crime Branch) લઈ આવ્યા હતા. તેમની સાથે બધા જ અધિકારીઓ અદબથી વાત કરતા હતા. આમ તો આદમની કબુલાત પ્રમાણે મૌલાના અને મુફતી સામેના આરોપ ગંભીર હતા; પણ પોલીસ અધિકારી જાણતા હતા કે, તે માત્ર આરોપ છે. ઘણી વખત પોલીસ પણ અંધારામાં ગોળીબાર કરતી હોય છે. જેથી ગુનેગાર એવું માની લે છે કે, પોલીસ બધું જ જાણે છે અને એ બધું ઓકી નાખે છે.

મૌલાના અને મુફતીને લેવા માટે બે અલગ અલગ ટીમ મોકલવામાં આવી હતી. તેમને તાકીદ કરવામાં આવી હતી; મૌલાના અને મુફતીને એકબીજાની જાણ થાય નહીં કે, તેઓ બંને ક્રાઇમબ્રાંચમાં સાથે છે. જેથી બંનેને લાવીને અલગ અલગ રૂમમાં બેસાડ્યા હતા. જોકે તે બંનેની સાથે સારો વ્યવહાર રાખવાની એ.સી.પી.ની સૂચના હોવાથી તેમને ઉપરના માળે આવેલા ખાસ સેલને બદલે અલગ ચેમ્બરમાં બેસાડ્યા હતા. તેમને એક પોલીસવાળો પાણી આપી ગયો અને તરત ચ્હા પણ આવી ગઈ. મૌલાના અને મુફતીને હજી અંદાજ નહોતો કે, તેમને તેડું કેમ આવ્યું છે? કારણ, પોલીસવાળા આસામાન્ય રીતે સારો વ્યવહાર કરી રહ્યા હતા.

- Advertisement -

એક પોલીસવાળો મુફતી કયુમને બોલાવવા આવ્યો. “ચાલો, સાહેબ આપને બોલાવે છે.”

મુફતીને હજી ખબર નહોતી કે, કયા સાહેબ મળવા માગે છે? તે પોલીસવાળાની પાછળ ચાલવા લાગ્યા. પોલીસવાળો એક ચેમ્બર પાસે રોકાયો. મુફતીસાહેબે ચેમ્બરની બહાર લખેલી નેમપ્લેટ વાંચી. ‘ડી.સી.પી. ડી. જી. વણઝારા’ (DCP D G Vanzara) મુફતી સમજી ગયા કે, ડી.સી.પી. સાહેબ મળવા માગે છે. પોલીસવાળો પહેલા અંદર ગયો અને તરત બહાર આવીને કહ્યું, “આવો.”

મુફતી અંદર આવ્યા. તેમને જોતાં જ ડી.સી.પી. વણઝારા એકદમ ઊભા થઈ ગયા અને કહ્યું, “આવો આવો મુફતી. કેમ છો? અમારા પોલીસવાળાએ તમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર તો નથી કર્યો ને?”

- Advertisement -

ડી.સી.પી. વણઝારાએ એક સાથે બે સવાલ પુછી નાખ્યા. મુફતીને સમજાયું નહીં કે, કયા સવાલનો જવાબ આપવો? વણઝારાએ મુફતી સાથે હાથ મીલાવ્યો અને ખુરશીમાં બેસવા કહ્યું. મુફતીએ કહ્યું, “આદેશ કરો સાહેબ. કેમ યાદ કર્યા?”

“અરે, આદેશ તો શું કરીએ? પહેલા તમે ચ્હા પીવો.” તેમ કહી વણઝારાએ બેલ વગાડી.

તરત મુફતી કયુમે કહ્યું, “સર, હમણા જ તમારા માણસે ચ્હા પીવડાવી.”

- Advertisement -

વણઝારાએ કહ્યું, “ઓકે. ચાલો, તો અમારા પોલીસવાળા થોડાક પોલીશ થયા છે!”

આટલું કહીને ડી.સી.પી. વણઝારાએ પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો અને ચહેરા પર સ્મિત સાથે પુછ્યું, “મુફતી સાહેબ, અક્ષરધામ પર હુમલો થયો; તેની તો તમને ખબર જ હશે ને?”

મુફતી કયુમે તરત કહ્યું, “અરે સાહેબ, આખી દુનિયાએ તેમનો આતંક જોયો. તેની તો કોને ખબર ન હોય!”

વણઝારા નોંધી રહ્યા હતા કે, અક્ષરધામનું નામ સાંભળીને મુફતીના ચહેરા પર કોઈ ફેરફાર થાય છે કે નહીં; પણ મુફતીના ચહેરા પર કોઈપણ પ્રકારનો ડર નહોતો. એ સ્વસ્થતાથી વાત કરી રહ્યા હતા. વણઝારા બીજો સવાલ પુછે તે પહેલાં મુફતીએ સામો સવાલ પુછ્યો, “કેમ સાહેબ, તમે મને અક્ષરધામ માટે પુછી રહ્યા છો?”

વણઝારા સાહેબ એકદમ હસી પડ્યા. “અરે મુફતી સાહેબ, અમારા નસીબમાં તો આવા જ કામ છે.”

મુફતી એક સૂચક વાક્ય બોલ્યા, “પણ સાહેબ, આ તપાસ તો એ.ટી.એસ. પાસે છે ને?”

વણઝારાને આ વાત ગમી નહીં. વણઝારાનો ચહેરો અને અવાજ બંને કડક થયા. તેમણે મુફતીને કહ્યું, “તમે અમારા ડિપાર્ટમેન્ટનું ખાસ્સું ધ્યાન રાખો છો!”

મુફતીએ કહ્યું, “ના ના સાહેબ, આ તો મેં અમસ્તું જ કહ્યું.”

મુફતીને સમજાઈ ગયું કે, આ બોલવાની જરૂર નહોતી; પણ મુફતીનો આ ઓવરકોન્ફિડન્સ ભારે પડવાનો હતો! વણઝારાએ હવે મૂળ વાત પર આવતાં સીધો સવાલ પુછ્યો, “અક્ષરધામ પર જેમણે અટેક (Akshardham Attack) કર્યો હતો; તેમને તમે મળ્યા હતા?”

મુફતીએ કહ્યું, “સાહેબ, હું તેમને કેવી રીતે મળું?”

“મળ્યા હતા કે નહીં? હા કે નામાં જવાબ આપો.” વણઝારાના અવાજનો ડેસિબલ વધ્યો.

મુફતીના ચહેરા પર હવે ડર ડોકાઈ રહ્યો હતો. “સાહેબ, હું શું કામ મળું? અને ક્યારે મળ્યો હતો? એની તમારી પાસે કોઈ વિગત હોય તો કહો.”

વણઝારાએ થોડી કડકાઈથી કહ્યું, “મુફતી, અમારે એ જ જાણવું છે કે, તમે ક્યારે અને શું કામ મળ્યા હતા?”

મુફતીના અવાજમાં હવે વિનંતી સાથે લાચારી પણ હતી. “સાહેબ, હું નથી મળ્યો એમને!”

વણઝારાએ કંઈક વિચાર કર્યો અને કહ્યું, “સારુ, એ તમને યાદ નથી. મને એમ કહો કે, તમે કોઈ આદમને ઓળખો છો?”

મુફતીએ વિચાર કરીને કહ્યું, “કયો આદમ?”

વણઝારાએ તરત કહ્યું, “આદમ અજમેરી. શાહપુર વાળો.”

મુફતી કયુમે વિચાર કર્યો અને કહ્યું, “સાહેબ, અમારું કામ ધર્મનું શિક્ષણ આપવાનું છે. મને ઘણા બધા મળતા હોય છે. તમે કોની વાત કરો છો; એ મને યાદ આવતું નથી.”

વણઝારાના ચહેરા પર આછું સ્મિત આવ્યું. તેમણે કહ્યું, “મુફતી સાહેબ, તમે કયું શિક્ષણ આપો છો; એની મને ખબર છે. એટલે એ બધું છોડો અને મને સાફ સાફ કહો, અક્ષરધામ હુમલા સાથે તમારે કોઈ સંબંધ છે કે નહીં?”

મુફતી અંદરથી એકાએક ફફડી ગયા. જાણે વણઝારાએ તેમનો ઘોઘરો દબાવી દીધો હોય! મુફતીએ હાથ જોડીને કહ્યું, “સાહેબ, તમારી કોઈ ગેરસમજ થાય છે. મેં તો 2002નાં તોફાન વખતે દરિયાપુરના બહાવીર હોલમાં રાહત કેમ્પ ચલાવ્યો હતો. મેં ગરીબ અને લાચાર લોકોને મદદ કરી હતી. મારો સંબંધ આવી ઘટના સાથે કેવી રીતે હોઈ શકે!”

વણઝારાએ મુફતીની આંખોમાં જોતાં કહ્યું, “જુઓ, આજે તમારી સાથે જે સારો વ્યવહાર થાય છે, તેવો સારો વ્યવહાર કાયમ થશે; એવા ભ્રમમાં ન રહેતા. આજે મેં તમને મારી સામેની ખુરશીમાં બેસાડ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે, તમારી લાયકાત મારી સામે બેસવાની છે? કે મારી ખુરશી પાસે અહીંયાં!”

આટલું કહેતાં વણઝારાએ જમીન તરફ ઇશારો કર્યો. મુફતી કંઈ જવાબ આપે તે પહેલા તેમણે બેલ વગાડી અને અંદર આવેલા પોલીસવાળાને કહ્યું, “લઈ જાવ આમને.”

(ક્રમશ:)

Part 27 : મુફતી કયુમ અને મૌલાના અબ્દુલાને લેવા ક્રાઇમબ્રાંચ દરિયાપુર પહોંચી. બંનેને કહ્યું, “સાહેબ બોલાવે છે.”

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular