પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-16): Akshardham Temple Attack Series : અક્ષરધામ મંદિર પર હુમલો થવાની ઘટનામાં ગુજરાત પોલીસના બે કમાન્ડો, અલ્લારખાં (Commando Allarakha) અને અર્જુન ગામેતી શહિદ થયા (Commando Arjun Gameti) હતા. વિધિની વક્રતા તો જુઓ, સામાન્ય દિવસોમાં હિંદુત્વનો ઝંડો લઈને ફરનારા ઇસ્લામ ઉપર ભરોસો કરનારાને ભાંડે છે. હા, એ વાત સાચી હતી કે, અક્ષરધામ પર હુમલો કરનારા ઇસ્લામના સમર્થક હતા; પણ અક્ષરધામ અને તેની અંદર રહેલા હિંદુઓને બચાવવા જે શહિદ થયો, એ અલ્લારખાં પણ ઇસ્લામને માનનારો હતો. ગુજરાત પોલીસમાંથી કુલ છ અધિકારી અને જવાન ઘાયલ થયા હતા. ત્યારપછી તો એન.એસ.જી. કમાન્ડોએ આવીને મોરચો સંભાળી લીધો હતો, પણ રાતનું અંધારું કમાન્ડો માટે ઘાતક બની રહ્યું હતું. હમણાં સુધી કમાન્ડો સુરેશ યાદવ (Commando Suresh Yadav) શહિદ થયો હતો. કમાન્ડો સૃજનસિંઘને (Commando Surjan Singh) ગંભીર સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ડોકટર્સે સૃજનસિંઘને તપાસીને કહી દીધું કે, “એ કોમામાં જતો રહ્યો છે. કોમામાંથી ક્યારે બહાર આવશે, તે કહી શકાય નહીં.”
સૃજનસિંઘના પરિવારને પણ તરત જાણ કરીને અમદાવાદ આવી જવા કહેવામાં આવ્યુ. એન.એસ.જી.ની આખી ટીમને લીડ કરી રહેલા બ્રિગેડિયર સિતાપતિને (Brigadier Sitapati) હવે અંદાજ આવી ગયો હતો કે, રાતનું ઓપરેશન તેમના વધુ કમાન્ડો ઓછા કરશે. એટલે તેમણે ઓપરેશન ‘અટેક’ (Operation Attack) બંધ કરવાની જાહેરાત કરી. ગુજરાત પોલીસના અધિકારીઓને કહ્યું, “હવે સવાર થયા પછી જ ઓપરેશન આગળ વધારીશું, પણ તે દરમિયાન મંદિર પરિસરમાં રહેલા ટેરરિસ્ટ મંદિરની બહાર નીકળીને ભાગી ન જાય, એ માટે મોરચો તમે સંભાળી રાખો.”
ગાંધીનગરના ઇન્ચાર્જ ડી.એસ.પી.ના હાથમાં ગોળી વાગી હતી, પણ તેઓ સારવાર લઈને પાછા મંદિર પર આવી ગયા હતા. તેમણે બ્રિગેડિયર સિતાપતિની સૂચના પ્રમાણે, ગુજરાત પોલીસના અને સી.આઈ.એસ.એફ.ના જવાનોને મોરચો સાંભળી લેવાનો આદેશ આપ્યો. જોકે બ્રિગેડિયર સિતાપતિની ખાસ તાકીદ હતી કે, તેમના આદેશ વગર ટેરરિસ્ટ તરફ કોઈ ફાયરિંગ નહીં કરે. જે પ્રકારે એન.એસ.જી.ના અધિકારીઓ વિચારી રહ્યા હતા, ગુજરાત પોલીસ અને સી.આઈ.એસ.એફ.ના અધિકારીઓ તેના કરતાં સાવ જૂદું વિચારી રહ્યા હતા.
ગુજરાત પોલીસ અને સી.આઈ.એસ.એફ.ની યોજના હતી કે, ટેરરિસ્ટ તરફ સતત ફાયરિંગ કરતા રહો. એ વાત પોલીસ પણ જાણતી હતી કે, ટેરરિસ્ટ એવી પોઝિશનમાં સંતાયા છે; કે તેમને એક પણ ગોળી વાગશે નહીં. પરંતુ તેઓ પોલીસ તરફથી થઈ રહેલા ફાયરિંગનો જવાબ જરૂર આપશે. જેના કારણે તેમની પાસે રહેલો દારૂગોળો એક તબક્કે ખલાસ થઈ જશે અથવા ખૂબ ઓછો થઈ જશે. એ સ્થિતિ પોલીસ માટે આદર્શ સ્થિતિ હશે, પણ એન.એસ.જી. એના માટે તૈયાર નહોતું. ગુજરાત સરકારની વિનંતીને કારણે મંદિરની સ્થિતિનું પજેશન લઈ લેનાર એન.એસ.જી. પાસે હવે તમામ સત્તાઓ આપમેળે આવી ગઈ હતી. જેના કારણે હવે પોલીસ પાસે એન.એસ.જી.નો આદેશ માનવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એ વાત પણ સાચી હતી કે, ગુજરાત પોલીસે આ પ્રકારના ટેરરિસ્ટ અટેકનો ક્યારેય સામનો કર્યો નહોતો. જેના કારણે ગુજરાત પોલીસ પાસે તેનો ખરો અનુભવ નહોતો.
મંદિરમાં હાજર રહેલી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સે (CISF) આ પ્રકારની તાલીમ લીધેલી હતી. તેઓ દેશના દુર્ગમ વિસ્તારોમાં આતંકીઓ અને નક્સલવાદીઓ સાથે લડી ચૂક્યા હતા. એન.એસ.જી. આવે એ પહેલાં બંને ટેરરિસ્ટને ખતમ કરવાની સી.આઈ.એસ.એફ.ના કમાન્ડોની તૈયારી પણ હતી. પરંતુ દિલ્હીથી સંદેશ આવ્યો કે, એન.એસ.જી. ખાસ વિમાન દ્વારા અમદાવાદ આવે છે. તેની સાથે ગુજરાત પોલીસને આદેશ મળ્યો હતો કે, ઓપરેશન અટકાવી દેવામાં આવે. આ વાત સી.આઈ.એસ.એફ.ના અધિકારી ખટકી રહી હતી. તેઓ મંદિરમાં જ હતા અને જે પ્રકારે એન.એસ.જી.ના કમાન્ડો શહિદ થઈ રહ્યા હતા, તેના કારણે તેમને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો; પણ તેમના હાથ બંધાયેલા હતા. તેમની ગમેએટલી ઇચ્છા હોય, પણ તેમને ખેલ જોવા સિવાય કંઈ કરવાનું નહોતું. જ્યારે બ્રિગેડિયર સિતાપતિએ કહ્યું કે, “હવે ઓપરેશન બંધ.” ત્યારે પણ સી.આઈ.એસ.ફ.ના અધિકારીઓને માઠું લાગ્યું હતું. તેમનું મન તો કહેતું હતું કે, લાવો, અમને મામલો સોંપી દો. કલાકમાં ખેલ ખતમ કરી નાખીશું!
ઓપરેશન બંધની જાહેરાત થતાં અમારે પણ ગાંધીનગરમાં જ રાત પસાર કરવાની હતી. અમારી પાસે પીવાનું પાણી અને ખાવાનું પણ ખલાસ થઈ ગયું હતું. ત્યારે જ અમારા કોઈ સાથી પત્રકારે અમને કહ્યું, “ગેટ નંબર–6 પાસે સેક્ટર–20માં ગુજરાતના આઈ.એ.એસ. અધિકારી કે. જી. વણઝારા રહે છે. ત્યાં પાણીની વ્યવસ્થા થઈ જશે.”
અમને પણ આશા જાગી. અમે આઈ.એ.એસ. અધિકારી કે. જી. વણઝારાના (K G Vanzara) ઘરે પહોંચ્યા. તેઓ હજી જાગતા જ હતા. કારણ કે, તેઓ પણ અક્ષરધામમાં જે થઈ રહ્યું હતું, તેને લઈ ચિતાંમાં હતા. કે. જી. વણઝારાના સ્વભાવ પ્રમાણે, તે મારા સહિત અનેક પત્રકારને નામથી ઓળખતા હતા. અમે તેમને કંઈ કહીએ, તે પહેલાં જ અમારી સ્થિતિ જોઈને તે સમજી ગયા. તેમણે તરત પોતાના પરિવારને કહ્યું, “પહેલાં મિત્રો માટે ચ્હા–પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરો.”
ચ્હા–પાણી, નાસ્તો મળતાં અમારા જીવમાં જીવ આવ્યો. વણઝારા અમારી પાસેથી જાણકારી લઈ રહ્યા હતા કે, ખરેખર શું બન્યુ છે. એ વખતે એક છોકરી અમારી સરભરામાં ત્યાં હાજર હતી. અચાનક કે. જી. વણઝારાએ એ છોકરી સાથે અમારો પરિચય કરાવતાં કહ્યું, “આ મારી દિકરી મંજિતા છે.”
ત્યારે મંજિતા 18-19 વર્ષની હશે. મારા સહિત ત્યાં રહેલા પત્રકારોને ત્યારે જરા પણ અંદાજ નહોતો કે, આ છોકરી મંજિતા આઈ.પી.એસ. અધિકારી બનશે.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796