નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ નડિયાદના પીજ ગામનાં વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ હજારો કિલોમીટર દૂર અમેરિકાથી આવીને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં (Asarwa Civil Hospital) રૂપિયા ૭૫ લાખની જંગી રકમનું દાન કર્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વ્યક્તિગત રીતે સિવિલ હોસ્પિટલમાં આ દાનની રકમ કદાચ સૌથી મોટી હશે.
નડિયાદના ઉર્વશીબહેન છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હોય તેમને મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય તેમ જણાતું હતું. જેથી તેમણે પોતાના વસિયતનામામાં પોતાની મિલ્કત લોકઉપયોગી કામો માટે વપરાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમણે વસિયતનામામાં લખ્યું હતું કે, “મિલકતનો મંદિરમાં નહીં પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.” તે વસિયત અનુસાર ઉર્વશીબહેનના ભાઈએ તેમની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે રૂપિયા 75 લાખનું દાન સિવિલ હોસ્પિટલને આપ્યું હતું. તેમણે આપેલું આ દાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં વ્યક્તિગત રીતે મળેલા દાનમાં સૌથી મોટી રકમ હોવાનું માનવામાં આવે છે.
આ બાબતે ઉર્વશીબહેનના ભાઈ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, તેમના બહેને જીવનપર્યંત જનઉપયોગી કાર્યો કર્યા છે. ઉર્વશીબહેને સાડીનો વ્યવસાય કરી પાઈપાઈ ભેગી કરી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઉર્વશીબહેને આત્મનિર્ભર રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. બાદમાં તેમનું ગત વર્ષે બીમારીના કારણે જાન્યુઆરી માસમાં અવસાન થયું હતું. અને પોતાના જીવનના છેલ્લા દિવસોમાં તેમણે લોકકલ્યાણ માટે દાન કરવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. માટે તેઓ અમેરીકાથી આવ્યા અને બહેનની અંતિમ ઈચ્છા મુજબ સિવિલ હોસ્પિટલને રૂપિયા 75 લાખનું દાન કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ડીંગુચાના પરિવારનો મોત મામલે 2 એજન્ટની ધરપકડ
આ બાબતે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર દાન આવતું રહે છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલા રૂપિયા 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલા સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માને છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796