નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં કચરાના ઢગલામાંથી એક લાશ મળી આવી હતી. જો કે લાશ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી લાશ માથું અને હાથ-પગ કાપેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને માત્ર ધડ જ મળી આવ્યું હતું, ત્યારે આજે ફરીથી કચરાના ઢગલામાંથી બે પગ અને બે હાથ મળ્યા છે. હત્યારો જાણે એક બાદ એક માનવ અંગનો નિકાલ કરી રહ્યો છે.
અમદાવાદમાં બે દિવસ અગાઉ વાસણા વિસ્તારમાંથી પોલીસને કચરાના ઢગલામાંથી હાથ-પગ અને માથા વગરનું ધડ મળી આવ્યું હતું. પોલીસ આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, ત્યારે આજે એલિસબ્રિજ વિસ્તારમાંથી માનવ અંગ મળી આવ્યા છે. કચરાના ઢગલામાંથી હાથ પગ મળી આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. એલિસબ્રિજ વિસ્તારમાં કલગી ચાર રસ્તા પાસે બે હાથ અને બે પગ મળી આવતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.
અમદાવાદમાં એક બાદ એક માનવ અંગો મળી આવતા જાણે હત્યારા પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં માનવ અંગો મળી આવતા વાસણા પોલીસ અને એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસના મૂળિયાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ લાશ કોની છે તે હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર બાબતે એલિસબ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. રાજપૂત સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, “આ માનવ અંગ કલગી ચાર રસ્તાથી પરિમલ તરફ જવાના માર્ગ પર આવતા પેટ્રોલ પંપ નજીકની ગલીમાંથી મળી આવ્યા હતા. આ અંગો સૌ પ્રથમ AMCના સફાઈ કર્મચારીએ જોયા હતા, ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માનવ અંગોને જોતાં તે કોઈ સાર્પ વસ્તુથી કાપવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાસણમાં જે મૃતદેહના અંગ મળી આવ્યા તેની સાથે આ અંગોનો DNA સ્ટેટ કર્યા બાદ જ જાણવા મળશે કે બને જગ્યા પરથી મળેલા માનવ અંગ કોઈ એક વ્યક્તિના છે કે નહીં. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.”








