નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા સિંધુ હોલ ખાતે એક લગ્નપ્રસંગમાં ભોજન જેવી નજીવી વાતમાં મારામારી (Fight over food at wedding in Ahmedabad) થઈ ગઈ હતી. ભોજન સમારંભમાં બિરયાનીના બદલે પુલાવ કેમ બનાવ્યો અને તે સ્વાદિષ્ટ ન હોવા જેવી બાબતે વર અને કન્યા પક્ષ સામસામે આવી ગયા હતા. આ બબાલમાં છરી, લોખંડના ઝારા અને તાવેથા જેવા રસોઈના સાધનોથી એકબીજા પર હુમલો કરાયો હતો. આ ઘટનામાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધી બે લોકોની ધરપકડ કરી છે.
દિલ્હીની રહેવાસી કશિશ કછવાયા (ઉ.23)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, કશિશના લગ્ન વસ્ત્રાલમાં રહેતા સાગર વાણી સાથે 12મી મેના રોજ નિર્ધારિત હતા. 11મી મેની રાત્રે સિંધુ હોલ ખાતે જમણવારમાં પુલાવ બરાબર ન બનવા બાબતે બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને જે તે સમયે શાંત પડી ગઈ હતી. પરંતુ, મધરાત બાદ એકાદ વાગે અદાવત રાખી સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રો ત્યાં આવ્યા હતા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન અમૃતના મિત્રએ કશિશના પિતાના ડાબા હાથે છરો મારી દીધો હતો. જ્યારે ચેતન નામના શખસે કશિશના કાકી સારિકાબહેનને વચ્ચે પડતા હથેળીમાં છરીનો ઘા માર્યો હતો. સાગર, અમૃત અને અન્ય મિત્રોએ કશિશ, તેના દાદી, માતા અને ભાઈ સાથે પણ મારપીટ કરી હતી.
વરરાજાના મિત્ર આકાશસિંહ પરિહારે કન્યા પક્ષ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે જમણવાર વખતે કન્યાના ભાઈ રીતિકે “બિરયાનીને બદલે પુલાવ કેમ બનાવ્યો છે?” તેમ કહી ઝઘડો કર્યો હતો. તે સમયે પોલીસે આવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ રીતિકે ફરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે વરપક્ષના લોકો તેને સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા રીતિકે આકાશસિંહના માથામાં લોખંડનો ઝારો ફટકારી દીધો હતો. અન્ય શખ્સોએ સૂરજના માથા અને મોઢા પર મોટો તાવેથો અને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી હતી.








