નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર મ્યુનિસિપલ કૉપૉરેશનની એસ્ટેટ શાખાએ જડેશ્વર પાર્કમાં પોલીસની મદદથી ગેરકાયદે દબાણો હટાવીને 3.50 કરોડની 8 હજાર ચોરસ ફૂટ સરકારી જમીન ખાલી (Jamnagar Demolition Drive) કરાવી છે. દબાણો હટાવવા ગયેલા તંત્રએ જેસીબી ચલાવવાની તૈયારી કરી ત્યારે એક વૃદ્ધ દંપતીએ ‘પાવડો ચલાવ્યો તો પથ્થરમારો કરીશું, જેલમાં જવું પડે તો જઈશું’ તેમ કહીને વિરોધ નોંધાવ્યો હતો. આ દંપતીએ એવો દાવો કર્યો હતો કે, વર્ષો પહેલાં શાંતિલાલ નામના શખસ પાસેથી તેમણે આ જમીન વેચાણ લીધી હતી.
નંદુબેન નામના વૃદ્ધાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અમે વર્ષો પહેલાં શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ જગ્યા વેચાતી લીધી હતી. મારા પુત્રનું અવસાન થયું છે અને હું તેની વિધવા પત્ની તથા બે સંતાનો સાથે અહીં રહીને પરિવારનું ગુજરાન ચલાવું છું.’ આ મામલે પોલીસ અને મનપાના અધિકારીઓએ દંપતીને શાંતિપૂર્વક સમજાવતા મામલો થાળે પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર મ્યુનિસિપલ કૉપૉરેશન (Jamnagar Municipal Corporation) દ્વારા અગાઉથી દબાણકર્તાઓને અંતિમ નોટિસો પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે સવારથી જ તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ છ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ કાચા-પાકા મકાનો, એક ગેરેજ, એક દુકાન તથા એક વાડાનો સમાવેશ થતો હતો. ડિમોલિશન માટે મહાનગરપાલિકાની ટીમ સાથે બે જેસીબી મશીનો, ત્રણ ટ્રેક્ટરો તેમજ એસ્ટેટ શાખાના 35થી વધુ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા.








