પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બાપુનગરનાં મહિલા PSI વર્ષા જાદવને કોર્ટમાં માર મારવાના મુદ્દે કારંજ પોલીસ સ્ટેશનમાં દસ વકીલો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ કેસની મુખ્ય આરોપી એડવોકેટ છાયા કોરીએ પોલીસને પોતાની સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં શું બન્યું તેની ફરિયાદ આપી છે. જેની તપાસ આસિસ્ટન્ટ કમિશ્નર મિલાપ પટેલ કરી રહ્યા છે.
એડવોકેટ છાયા કોરીએ જોઈન્ટ પોલીસ કમિશ્નર ગૌતમ પરમારને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની ઉંમર 25 વર્ષ છે, તેણે LL.M સુધીનો અભ્યાસ કરેલો છે. તેના પિતાનું અવસાન 2006માં થઈ ગયું હતું અને માતાની માનસિક સ્થિતિ યોગ્ય નથી.
તારીખ 6 માર્ચના રોજ તે ઘરે હતી ત્યારે કોઈએ તેને જાણકારી આપી કે તેના ઓટોરીક્ષા ચલાવતા ભાઈને બાપુનગર પોલીસ પકડી ગઈ છે. આથી તે પોતાની માતા સાથે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોતાના ભાઈ વિશે પૂછપરછ કરતાં કોઈએ તેને યોગ્ય ઉત્તર આપ્યો ન હતો. આથી તે અને તેની મા ડી-સ્ટાફની ઓફિસ પાસે જતાં તેણે જોયું તો ડી-સ્ટાફની ઓફિસની બહાર તેના ભાઈના બૂટ પડેલા હતા. આથી તેણે ડી-સ્ટાફની ઓફિસનો દરવાજો હડસેલી અંદર જોયું તો તેનો ભાઈ જમીન ઉપર બેઠેલો હતો. તેના માથામાંથી લોહી ટપકી રહ્યું હતું. તેના ભાઈએ છાયાને જોતાં કહ્યું કે, મને હોસ્પિટલ લઈ જાવ, મને પોલીસે બહુ માર્યો છે. આથી એડવોકેટ છાયાએ જ્યારે ત્યાં બેઠેલા પોલીસ કર્મચારીઓને કહ્યું કે, મારા ભાઈને હોસ્પિટલ લઈ જાવ ત્યારે ત્યાં બેઠેલા જયંતિભાઈ નામના કોન્સ્ટેબલે છાયા અને તેની માને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. છાયાએ જ્યારે પોતાનો પરિચય વકીલ તરીકે આપ્યો ત્યારે મહિલા PSI વર્ષા જાદવનો પિત્તો છટક્યો અને તે છાયાને ઢસડીને બહાર લઈ ગયાં.
PSI વર્ષા જાદવે પોતાના સ્ટાફને આદેશ આપ્યો કે, 332માં આ લોકોને અંદર મૂકી દો. આથી મને અને મારી માતાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા. થોડી વાર પછી મને ઇન્સ્પેક્ટર ગઢવીની ચેમ્બરમાં લઈ જવામાં આવી. જ્યાં PI ગઢવીએ મને કહ્યું, તારા જેવી દોઢસો વકીલો અહીંયા આવે છે. આજે રાત્રે તારો વહીવટ થશે. પછી મને લોકઅપમાં લઈ ગયા. મારી કાગળ ઉપર સહી લેવામાં આવી. મેં કહ્યું, મને એરેસ્ટ કરતાં હોવ તો મારા સિનિયર એડવોકેટને જાણ કરો. મારા એરેસ્ટ અંગે મેં આપેલા નંબર ઉપર જાણ કરવામાં આવી. 15-20 વકીલો આવી ગયા. મેં વિનંતી કરી મારા ભાઈની સ્થિતિ ખરાબ છે, તેને હોસ્પિટલ લઈ જાવ. તેમણે 108 બોલાવી પણ પોલીસે તેને હોસ્પિટલ મોકલવાનો ઇન્કાર કર્યો. હું આખી રાત લોકઅપમાં રહી.
બીજે દિવસે 7 માર્ચે અમને કોર્ટમાં રજૂ કર્યા. મેજિસ્ટ્રેટે પૂછ્યું: તમારી કોઈ ફરિયાદ છે? મેં મારી સાથે થયેલા દુરવ્યવહારની વાત કરી. મારી પાછળ PSI વર્ષા જાદવ ઊભાં હતાં. તેમણે કહ્યું, કોર્ટની બહાર નીકળ, તારો હિસાબ કરું.
આ આરોપમાં સત્યતા કેટલી છે એનો દાવો કે પ્રતિદાવો અમે કરતાં નથી. હાલમાં આ મામલે ACP મિલાપ પટેલ તપાસ ચલાવી રહ્યા છે.
![]() |
![]() |
![]() |











