Monday, February 17, 2025
HomeGujaratછોકરો હવે અમારો રહ્યો નથી, બૈરી અને સાસરીયાનું માનવા લાગ્યો છે

છોકરો હવે અમારો રહ્યો નથી, બૈરી અને સાસરીયાનું માનવા લાગ્યો છે

- Advertisement -

દિકરો જલદી લગ્ન કરી લે તો સારુ હાશ આપણી જવાબદારી પુરી, બહુ વર્ષો સંસારના ઢસરડા કર્યા બસ હવે તો આપણી જીંદગી જીવી છે, આવુ પચાસી વટાવી ગયેલુ દંપત્તી સરેરાશ માને છે.ઘણી વખત ઈશ્વર કેટલીક પ્રાર્થનાઓ જલદી સાંભળી લે છે, અને દિકરો પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરે છે, આપણે પહેલી વાત કરીશુ સંસાર જીવવવા માટે હોય છે, અને આપણે ખુબ સારી રીતે આપણી હેસીયત પ્રમાણે જીવ્યા છીએ, અને જયારે આપણે સંસાર જીવ્યા ત્યારે કયારેય તે ઢસરડો લાગ્યો ન્હોતો. પરંતુ દિકરાનું લગ્ન લેવાનું હોય અથવા લગ્ન થઈ જાય પછી અચાનક બ્રહ્મ જ્ઞાન થાય છે કે આપણે ખુબ ઢસરડો કર્યો, હું નોકરીએ લાગ્યો ત્યાં સુધી મારા મોટા ભાગની સફરની સાથી મારી સાઈકલ અને એએમટીએસની બસ રહી છે, જયારે મારા સંતાનોએ હજી બારમુ ધોરણ પાસ કર્યુ ત્યારે તેમની પાસે સ્કુટર આવી ગયુ હતું, મેં સાઈકલ ચલાવી ત્યારે મને ઢસરડો લાગ્યો ન્હોતો, અને મારા સંતાનોને જયારે પહેલુ વાહન અપાવ્યુ ત્યારે મને તકલીફ પડી ન્હોતી,. જે મને આજે તકલીફ અથવા ઢસરડો લાગે છે ત્યારે તો મને તેનો આનંદ મળતો હતો

આપણે અચાનક આપણી જીંદગીની વ્યાખ્યા બદલી નાખીએ છીએ, મારા પિતાનું સ્કુલનું શિક્ષણ અમરેલીમાં થયુ, અમરેલીમાં કોલેજ ન્હોતી, એટલે અભ્યાસ માટે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને અમદાવાદમાં સરકારી નોકરી મળી એટલે તેમણે જીંદગી અમદાવાદમાં પસાર કરી અને જીવનના છેલ્લાં દિવસ સુધી તેઓ એએમટીએસ બસમાં ફર્યા, હું વિચાર કરૂ છુ, તેમણે અમને સાઈકલ મળે, તેમણે અમને સારૂ શિક્ષણ મળે, તેમણે અમને સારી જીંદગી મળે તે માટે જ પોતાની સગવડોમાં કાપ મુકયો હતો, પરંતુ જયારે જયારે તેમણે પોતાની સગવડમાં કાપ મુકયો ત્યારે તેમા પડેલી તકલીફ કરતા આનંદ વધુ હતો કારણ હું એક પાલક તરીકે મારે જે કરવુ પડે છે તેવુ કરવામાં મહંદ્દઅંશે સફળ રહ્યો તેવો ભાવ હતો, આ પહેલી સ્થિતિમાં મોટા ભાગના પાલક હોય છે, હું પણ આવી જ માનસીક અવસ્થામાં અત્યારે છુ, સંતાનોને મોટા કરવામાં અને તેમનું ગમતુ કરવામાં અનેક વખત મારે મારી સગવડો છોડવી પડી અથવા મરે જતુ કરવુ પડે છે, પણ હમણાં મને તેનો ભાર લાગતો નથી કારણ સંતાન માટે જે કઈ કરૂ છુ તેમા પડતી તકલીફની અવગણના કરી તેમના ચહેરા ઉપર સ્મીત જોઈ થાક ઉતરી જાય છે

- Advertisement -

આપણી વ્યવસ્થામાં આપણે સંતાન માટે જ બધુ કરીએ છીએ, પછી તે દિકરો હોય કે દિકરી પરંતુ આપણા મનના સુક્ષ્મ ખુણામાં કેન્દ્ર સ્થાને દિકરો હોય છે, તેથી આપણે દિકરીને તારે માટે અમે કેટલુ કર્યુ તેવુ કહેતા નથી કારણ દિકરી પાસે જીવનના ઉત્તરાર્થની અપેક્ષા નથી અને દિકરી તો સાસરે જતી રહેશે, દિકરા સાથે રહે કે નહીં પણ અમે દિકરાની જવાબદારી છીએ એટલે દિકરાનો ભાર લઈએ છીએ, દિકરાના ખભે બોલાવ્યા વગર ભાર મુકી દઈએ છીએ, આવુ આપણે ગણતરીપુર્વક કરતા પણ નથી પરંતુ આપણા માતા પિતા અને દાદા દાદી આવી જ રીતે જીવ્યા હતા અને વિચારતા હતા તેવુ જ આપણે કરીએ છીએ આપણે જીવનને આઉટ ઓફ બોકસ વિચારતા નથી અને ત્યારે જીવનના પ્રશ્નની શરૂઆત થાય છે, મેં મારી આસપાસ એવા અનેક પરિવારો જોયા છે જે કાયમ વિચારે છે કે દિકરો તો લગ્ન કરી આપણી સાથે જ રહે છે, પણ જો દિકરી માટે સ્થળ જોવાનું હોય તો તેવા જમાઈને પસંદગી પહેલી કરીએ છીએ કે જેમાં દિકરી અને જમાઈ એકલા રહી શકે તેવો અવકાશ હોય આમ આવનારી વહુ તમારી સાથે રહે અને તમારી દિકરી પોતાના સાસુૃ-સસરાથી અલગ રહે તેવી ઈચ્છા હોય છે.

હવે ખરી શરૂઆત થાય છે દિકરાનું લગ્ન થાય, દિકરો સાથે રહે પણ ખરો દિકરો અલગ પણ રહે,પણ હવે દિકરો બદલાઈ ગયો છે, દિકરો હવૈ બૈરીનો થઈ ગયો છે, દરેક સ્ત્રી જયારે પણ લગ્ન કરી આવે ત્યારે તેની ઈચ્છા હોય છે કે તેનો પતિ પોતાની માતા કરતા પોતાને વધુ મહત્વ આપે પણ આ જ સ્ત્રી જયારે દિકરાનું લગ્ન કરાવે ત્યારે જો દિકરો પત્નીને મહત્વ આપે તો જરા પણ તેને મંજુર હોતુ નથી, હજી તેની અપેક્ષા એવી જ હોય છે કે દિકરો રોજ પહેલાની જેમ જીવનના રોજમરોજના પ્રશ્નનો નિર્ણય પોતાને પુછી કરે, પણ હવે મનમાં કલ્પના કરેલી સ્થિતિમાં જરા પણ ફેરફાર થાય એટલે દોષનો ટોપલો દિકરાના માથે મુકી દેવામાં આવે છે, દોષ આપો ત્યાં સુધી પણ વાંધો નથી પણ પછી જીવનભર અમે તારા માટે કેટલુ કર્યુ તો હિસાબ તેણે રોજ સાંભળવો પડે છે. આમ જયારે દિકરા માટે જે કઈ કર્યુ તેનો ભાર ત્યારે લાગ્યો ન્હોતો, પણ દિકરાના લગ્ન પછી તેને મોટો કરવામાં કેટલો ભાર લાગ્યો તેનો અહેસાસ થાય અને તે અહેસાસ પીડા આપવા લાગે છે, આમ દિકરાના લગ્ન પછી સંસાર સુખમય થવો જોઈએ તેના બદલે દુખનો પાર રહેતો નથી

એક તરફ સંસાસરના ઢસરડા મુકી હવે પોતાની જીંદગી જીવવાની ઈચ્છા છે બીજી તરફ શારિરીક અને માનસીક રીતે સંસારની જવાબદારી છોડવી પણ નથી, ઘણી વખત આપણને ઘરડા રાજનેતાની ટીકા કરીએ છીએ કે કયાં સુધી મરવા પડેલા નેતાઓ ખુરશી ઉપર ચીટકી રહેશે, પણ વિચાર કરો તેમની પાસે રજવાડા જેવી સત્તાઓ છે, આપણે પાસે મહિને માંડ પચ્ચીસ-પચાસ હજારનો ઘરનો કારભાર છે તે પણ આપણે છોડી ઘરમાં આવેલી નવુ વહુને સોંપવા તૈયાર નથી, બીજી તરફ કયાં સુધી ઢસરડા કરવાના તેવી ફરિયાદ કરીએ છીએ, આમ આમ આપણે અસ્પષ્ટ છીએ જેના કારણે જીંદગીની ગુચવી નાખીએ છીએ, જો આપણને સુખની અપેક્ષા છે તો આપણે છોડવુ પડશે કારણ જીંદગીને પકડી રાખનાર કયારેય સુખી થતો નથી, અને છોડવાનો અર્થ માત્ર ભૌૈતિક નથી, માનસીક રીતે પણ છોડવુ પડશે, લગ્ન થયેલા દિકરાના જીવનમાં એક નવુ પાત્ર આવ્યુ છે, તે પોતાની પત્ની ખુશ રાખવાનો પ્રયત્ન કરે તેમા આપણે દુખી થવાની જરૂર નથી અને દિકરો અને વહુ ખુશ હોય ત્યારે દિકરો બદલાઈ ગયો છે તેવુ માનવાની પણ જરૂર નથીસ દિકરો સાથે રહેતો હોય તો પણ દિકરા અને વહુને આપણે માનસીક રીતે અળગા કરી તેમને માનસીક મોકળાશનો અવકાશ આપીશુ તો આપણને પોતાની જીંદગી જીવનની પણ મોકળાશ મળશે અને સંસાર ઢસરડો લાગશે નહીં.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular