નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : શ્રમિક પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને અદાલતે છેલ્લાં શ્વાસ સુધીની સજા (Accused in rape case sentenced to death till last breath) ફરમાવી છે. દુષ્કર્મ કેસના આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવે રિ-કન્સ્ટ્રકશન સમયે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કરેલા ફાયરિંગમાં તેને પગમાં ગોળી વાગી હતી. ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) 13 દિવસમાં જરૂરી પુરાવા એકત્ર કરી 13 દિવસમાં ચાર્જશીટ કર્યું હતું. સાડા પાંચ મહિનામાં દુષ્કર્મ અને પોક્સોનો કેસ ચાલી જતાં ગાંધીનગરની અદાલતે ચૂકાદો (Gandhinagar court gives verdict in rape case) આપી દીધો છે. રામનીત યાદવને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારવામાં આવી છે. મૃત્યુ બાદ આરોપીનો મૃતદેહ તેના પરિવારને સોંપવાનો હુકમમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત ભોગ બનનારી બાળાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવા આદેશ કરાયો છે.
ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગર સેકટર-24માં રહેતા શ્રમિક પરિવારની માસૂમ પુત્રીનું આરોપીએ રાતના સમયે ઘરમાં ઘૂસીને અપહરણ કર્યું હતું. બાળકીને નજીકના વિસ્તારમાં ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેણીને મૃત સમજી આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, બાળકી હોશમાં આવી જતાં તે પરિવાર પાસે પહોંચી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આરોપી રામનીત યાદવ બિહાર ભાગી જાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે તેને ઝડપી લીધો હતો.








