જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી): આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન સુવિધા ઓછી અને વ્યસન વધુ બની રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોબાઈલની લત અને જીદના કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. મંચુરિયનની લારી ચલાવી માંડ-માંડ ગુજરાન ચલાવતા એક નેપાળી યુવકની પત્નીએ સ્માર્ટફોન ન મળતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
મોડાસાના ભવાનપુર નજીક ચાઈનીઝ મંચુરિયનની લારી ચલાવીને પેટિયું રળતા નેપાળી યુવકની પત્નીને સ્માર્ટફોન લેવાની ઈચ્છા થઈ હતી. પત્નીએ પતિ પાસે નવો મોબાઈલ લઈ આપવાની જીદ કરી હતી, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પતિએ મોબાઈલ લઈ આપવામાં અસમર્થતા બતાવી હતી. આ બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ગૃહકંકાસ સુધી પહોંચ્યો હતો.
પતિ લારી પર ગયો અને પત્નીએ કરી લીધું મોતનું આલિંગન
પતિ જ્યારે પોતાની લારી પર કામ કરી રહ્યો હતો, ત્યારે પત્નીને મોબાઈલ ન મળવાનું મનદુઃખ લાગી આવ્યું હતું. આવેશમાં આવીને આ યુવતીએ ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પતિ ઘરે પહોંચ્યો ત્યારે પત્નીનો લટકતો મૃતદેહ જોઈ તેના માથે આભ તૂટી પડ્યું હતું. મંચુરિયનની લારીમાંથી બે ટંકનું ટાણું પૂરું કરનાર પતિ પત્નીની આ જીદ સામે લાચાર સાબિત થયો અને અંતે પત્નીએ જિંદગી ટૂંકાવી લીધી.
પોલીસ તપાસ અને ચકચાર
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ પાછળ માત્ર મોબાઈલની જીદ જ કારણભૂત છે કે અન્ય કોઈ ઘરેલુ સંઘર્ષ?
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે સ્માર્ટફોનની ઘેલછા હવે અંતરિયાળ વિસ્તારો અને શ્રમિક વર્ગ સુધી પણ એક જીવલેણ નશો બનીને પહોંચી ગઈ છે. સામાન્ય જરૂરિયાતો પૂરી કરવામાં સંઘર્ષ કરતા પરિવારોમાં આ પ્રકારની ડિજિટલ માંગણીઓ કરુણ અંજામ લાવી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








