જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી): અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સત્તાના નશામાં ચૂર થઈ આદિવાસી વિદ્યાર્થી પર લાઠી વરસાવનાર આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભાજપના સ્થાનિક નેતા દેવાંગ બારોટની આખરે પોલીસે ધરપકડ કરી છે. વાસી ઉત્તરાયણના દિવસે જ પોલીસે ટ્રસ્ટીને જેલના સળિયા પાછળ ધકેલી દેતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સામાન્ય બાબતે વિદ્યાર્થીને માર્યો ઢોર માર
ઘટનાની વિગત એવી છે કે, કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ બસ ડ્રાઈવર પાસે પાણી માંગ્યું હતું. આ સામાન્ય વાતમાં બોલાચાલી થતા ટ્રસ્ટી દેવાંગ બારોટે મર્યાદા ઓળંગી હતી. તેણે વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બોલાવી દંડા વડે બેફામ માર માર્યો હતો અને ગાલ પર તમાચા ઝીંકી દીધા હતા. આ હુમલામાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતા તેને હિંમતનગર સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.
આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ અને સજ્જડ બંધ
આ ઘટનાના વીડિયો અને સમાચાર વહેતા થતા જ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અગ્રણી રાજેન્દ્ર પારઘીની આગેવાનીમાં રેલી કાઢી તંત્રને આવેદનપત્ર અપાયું હતું. એટલું જ નહીં, દેવાંગ બારોટની રાજકીય વગ સામે આક્રોશ વ્યક્ત કરતા ભિલોડા અને શામળાજી તાલુકામાં ‘બંધ’ નું એલાન અપાયું હતું, જેને પગલે બંને તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા હતા. સમાજનો આક્ષેપ હતો કે રાજકીય દબાણ હેઠળ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી વહેલી રજા અપાવી દેવાઈ હતી.
SP મનોહરસિંહ જાડેજાનું કડક વલણ
મામલો બિચકતા જોઈ અરવલ્લી એસ.પી. મનોહરસિંહ જાડેજાએ તાત્કાલિક એક્શન લીધા હતા. એલસીબી અને એસઓજી સહિતની ટીમો બનાવી ભૂગર્ભમાં ઉતરેલા દેવાંગ બારોટને દબોચી લીધો હતો. ભિલોડા પોલીસે મારામારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે રિમાન્ડ ના-મંજૂર કરતા દબંગ ટ્રસ્ટીની વાસી ઉત્તરાયણ જેલમાં વીતી હતી.
રાજકીય છબી ખરડાઈ
ભિલોડા યુવા ભાજપના મહામંત્રી પદ પર હોવા છતાં દેવાંગ બારોટની આ દાદાગીરીથી ભાજપ પક્ષ પણ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. કોલેજ કેમ્પસમાં ભાજપના કાર્યક્રમો થતા હોવાથી દેવાંગનો રોફ વધી ગયો હોવાની ચર્ચાઓ સ્થાનીક સ્તરે જોર પકડ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર








