નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નોર્વેજિયન પત્રકારે જાહેરમાં સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન મીડિયા પાસેથી પ્રશ્નો કેમ નથી લેતા. ઓસ્લોમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોર સાથે બેઠક બાદ બંને નેતાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યા હતા. નિવેદન પૂર્ણ થયા બાદ જ્યારે વડાપ્રધાન મોદી બહાર નીકળતા હતા, ત્યારે નોર્વેજિયન પત્રકાર હેલે લિંગે તેમને સવાલ કર્યો હતો.
પત્રકારે કહ્યું હતું, “પ્રધાનમંત્રી મોદી, દુનિયાના સૌથી મુક્ત પ્રેસમાંથી તમે થોડા પ્રશ્નો કેમ નથી લેતા?” જોકે વડાપ્રધાન મોદીએ આ સવાલનો કોઈ જવાબ આપ્યો નહોતો અને તેઓ પોતાના નોર્વેજિયન સમકક્ષ સાથે કાર્યક્રમ સ્થળેથી નીકળી ગયા હતા.
બાદમાં હેલે લિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે તેમને એવી અપેક્ષા નહોતી કે વડાપ્રધાન મોદી તેમના સવાલનો જવાબ આપશે. તેમણે લખ્યું હતું કે નોર્વે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા સ્થાને છે. તેમણે ઉમેર્યું હતું કે સત્તાધીશોને સવાલ પૂછવું મીડિયાનું કામ છે.
આ સમગ્ર ઘટનાને પગલે ઓસ્લોમાં આવેલી ભારતીય દૂતાવાસે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી અને પત્રકારને ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા યોજાનારી બ્રિફિંગમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વિદેશી નેતાઓ સાથેની સત્તાવાર બેઠકો પહેલાં અથવા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપે છે, પરંતુ પત્રકારોના પ્રશ્નો લેવાની પરંપરા ભાગ્યે જ જોવા મળે છે. થોડા દિવસ પહેલાં નેધરલેન્ડમાં પણ એક ડચ પત્રકારે આ જ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. ડચ અખબારના પત્રકારે પૂછ્યું હતું કે નેધરલેન્ડમાં આવી મુલાકાત બાદ બંને દેશોના વડાપ્રધાન પત્રકારોના પ્રશ્નો લે છે, તો આ વખતે એવું કેમ થયું નથી.
આ ઘટનાએ ફરી એકવાર પ્રેસ સ્વતંત્રતા અને રાજકીય નેતાઓની મીડિયા સાથેની પારદર્શિતા અંગે ચર્ચા તેજ કરી છે.








