નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીઓ અંગે મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલયથી જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 111 કર્મચારીઓની જિલ્લાફેર બદલી કરવામાં આવી છે.
22 મે 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશ અનુસાર પંચાયત સેવા સંવર્ગ હેઠળ વિવિધ કેડરના કર્મચારીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. આ બદલી પ્રક્રિયામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ગ્રામસેવક સહિતના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગે અગાઉ જાહેર કરાયેલા ઠરાવો અને અમલમાં રહેલા નિયમોના આધારે આ બદલી પ્રક્રિયા હાથ ધરી હોવાનું પણ આદેશમાં જણાવાયું છે.
આ જિલ્લાફેર બદલીની યાદીમાં ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરુચ, વડોદરા, તાપી અને સુરત સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક કર્મચારીઓને ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે.
સરકારના આદેશ અનુસાર બદલાયેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા જિલ્લામાં હાજર થવાનું રહેશે. હાલ જે કર્મચારીઓ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવી રહ્યા છે, તેમને સમયસર રિલીવ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે.
આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બદલાયેલા કર્મચારીઓને પોતાના મૂળ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી વિના ફરી પાછા મુકત કરી શકાશે નહીં. ઉપરાંત, નવી જગ્યાએ હાજર થયા બાદ કર્મચારીઓના તમામ સર્વિસ રેકોર્ડ તેમજ જરૂરી વહીવટી વિગતો સંબંધિત જિલ્લા કચેરીએ મોકલવાની રહેશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓમાં ખાસ ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે મોટા પાયે આંતર જિલ્લા બદલીનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. જુઓ સમગ્ર યાદી














