નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીનું (Rajya Sabha Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે, ગુજરાત રાજ્યસભાની 3 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. તેમ છતાં પણ રાજકીય માહોલ જામ્યો નથી. કારણ કે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં દાવેદારી કરવાના નથી. જેથી ભાજપના (BJP) ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેવામાં આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે (S Jaishankar) રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે હજુ બે બેઠક માટે ભાજપ તરફથી ઉમેદવારી કરવામાં આવી નથી.
આગામી રાજ્યસભાની ચૂંટણી માટે આજે ભાજપ તરફથી એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જોકે હજુ પણ ભાજપના બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી છે. ત્યારે બીજા બે ઉમેદવારોને પણ રિપિટ કરવામાં આવશે કે પછી નવો જ ચહેરો જોવા મળશે તેને લઈને ભાજપે સસ્પેન્સ યથાવત રાખ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 જુલાઈ છે અને 24 જુલાઈએ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ. જયશંકર, દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી આ ત્રણ બેઠક પર આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી ભાજપ પાસે 8 બેઠકો અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.
હાલમાં ગુજરાત વિધાનસભામાં ભાજપના 156, કોંગ્રેસના 17, આમ આદમી પાર્ટીના 5 અને સમાજવાદી પાર્ટીના એક સભ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પહેલેથી જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે કોંગ્રેસ પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, હાલમાં કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 17 છે અને રાજ્યસભામાં ઉમેદવારને ચૂંટાઈ આવવા માટે જરૂરી 46 મત ન મળે તેવા સંજોગોને ધ્યાનમાં લઈ કોંગ્રેસે ચૂંટણીમાં ભાગ નહીં લેવા માટેની જાહેરાત કરી છે.

કોંગ્રેસમાંથી ગુલાટમારતા મળ્યું ફળ
દાયકાઓથી કોંગ્રસ સાથે જોડાયેલા ઉત્તરગુજરાતના કદાવર નેતા ગોવા રબારી તાજેતરમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયાના થોડો જ દિવસોમાં ભાજપમાં આવવાનું ફળ ગોવા રબારીને આજે મળ્યું છે. આજે ગોવા રબારીને બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે અરજણ પટેલની વરણી કરવામાં આવી છે. ડીસા માર્કેટ યાર્ડમાં 10 વર્ષ બાદ ફરથી ગોવા રબારીની એન્ટ્રી થઈ છે. માર્કેટ યાર્ડના ડિરેક્ટર્સની મળેલી બેઠકમાં આ વરણી માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








