નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર બાદ હવે રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે, બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય આ કૂતરા તમામ પર હુમલા કરી રહ્યા છે. ગુજરાતનાં જુદા-જુદા જિલ્લાઓમાંથી કૂતરાઓએ જીવલેણ હુમલો કર્યો હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આજે જુનાગઢમાંથી બે બાળકો પર પણ કૂતરાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બંને બાળકોને અત્યારે જુનાગઢ સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં યુવતીને કૂતરું કરડતાં પરિવારે ભુવાનો સહારો લીધો, હડકવા થતાં 6 મહિનામાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના વડાલવાડી વિસ્તારમાં સવારે 10 વાગ્યાની આસપાસ બે બાળકો વાડીમાં રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક 5 જટેલા કૂતરાઓ વાડીમાં ઘૂસી આવ્યા હતા અને બાળકો પર જીવલેણ હુમલો કર્યો હતો.
કૂતરાઓએ બાળકો પર હુમલો કરીને ગળા અને પીઠના ભાગે બટાકા ભર્યા હતા, જેના કારણે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે વડાલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે બાળકોની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ ગંભીર ઈજાઓના પગલે બાળકોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરઃ ત્રણ દિવસમાં રખડતાં કુતરાએ બે મહિલાઓનો ભોગ લીધો
બીજી તરફ જૂનાગઢ શહેરની આનંદ સોસયટીમાંથી એક મહિલા કામ માટે બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન 5 જેટલા કૂતરાઓએને મહિલા પર હુમલો કરી હાથના ભાગે બટકું ભરી લેતા મહિલાને ઈજા પહોંચી હતી. આમ કૂતરાઓના હુમલાની સતત વધતી ઘટનાને લઈ લોકો મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કૂતરાના હુમલાની ઘટના બનતા આસપાસ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને કૂતરાના ત્રાસમાંથી સત્વરે મુક્તિ મળે અને ભવિષ્યમાં કોઈ ભોગ ન બને તે માટે મનપા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.








