નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતમાં હાઇવે પર અકસ્માત થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે રસ્તા પર હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કેટલાક બેદરકાર વાહનચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ગત રાત્રિએ કચ્છમાં આવી જ રીતે હાઇવે પર એક અકસ્માત થયો હતો જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. એક ઓવરલોડ ચાલી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રક સાથે ટક્કર થઈ હતી, તે દરમિયાન પાસેથી પસાર થતાં બાઇક પર એક ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેના કારણે બાઇક પર સવાર બે લોકોનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ હાઈવે પરથી ગત મોડી રાત્રે પલારા નજીકથી ઓવરલોડ ટ્રક બેફામ ગતિએ પસાર થઈ રહી હતી. જે દરમિયાન ઓવરલોડ ટ્રકે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ટ્રક બાજૂમાં ચાલી રહેલા ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત દરમિયાન યમરાજ બનીને એક ટ્રક આગળ ચાલી રહેલા બાઈક પર ફરી વળી હતી. જેમાં ઘટનાસ્થળે બાઈક પર સવાર બંને લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે લોકો પણ હાઈવે પર એકઠા થઈ ગયા હતા અને હાઈવે પર ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. અક્સ્માતની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાઈવે પરથી ટ્રાફિક દૂર કરાવી બાઈક સવાર બંને યુવકના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર સ્થાનિકો દ્ઘારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે કે, હાઈવે પર ઓવરલોડ ટ્રકો બેફામ બની દોડી રહ્યા છે. જેના કારણે અન્ય નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. છતાં પણ આવા ટ્રકો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને બેફામ બનેલા ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.








