નવજીવન ન્યૂઝ.ઉત્તર પ્રદેશ: ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસની હાજરીમા જાહેરમાં હત્યા કરી નાખવાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા પર સવાલ પેદા કરતા સમાચાર મળી રહ્યા છે. જેમાં અતીક અહેમદના વકીલ દયા શંકર મિશ્રાના ઘર નજીક કથિત બોમ્બ ધડાકા થયા હોવાના અહેવાલ છે. કથિત રીતે બોમ્બ ફૂટતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને યુ.પી. પોલીસની કામગીરી પર સવાલ પેદા થયા હતા.
આજરોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કટરા ગોબર ગલીમાં ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે, અતિક અહેમદના વકીલ વિજય મિશ્રા કર્નલગંજ વિસ્તારના જૂના કટરા ઘર પાસે જ રહે છે. આ ઘટનાની જાણ થતા કર્નલગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ યુવકો જાણી જોઈને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી કે લોકોમાં ખોટી દહેશત ઉભી કરવા માટે ક્રૂડ બોમ્બ ફેંકી ફરાર થઈ ગયા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
શું કહે છે અતીકના વકીલ?
આ ઘટના અંગે અતીક અહેમદના વકીલ દયા શંકર મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતુ કે, અહીં ત્રણ બોંબ ફેંકાયા હતા. મને લાગે છે કે આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે. આ બધું મને ડરાવવા માટે થઈ રહ્યું છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાત અફવા હોવાનું જણાવાઈ રહ્યું છે.
પોલીસનું શું કહેવું છે?
પ્રયાગરાજમાં થયેલા આ વિસ્ફોટ અંગે પોલીસે તપાસ કરીને નિવેદન આપ્યું છે કે, હર્ષિત સોનકર ઉર્ફે આકાશ સિંહ છોટું રાનુ અને રોનક યાદવ નામના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે હર્ષિત સોનકરે આકાશ રોનક પર સ્વદેશી બોમ્બ વડે હુમલો કર્યો હતો. પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મસ્તીમાં થયા હતા બોમ્બ ધડાકા?
મહત્વનું છે કે, આ બોમ્બ ધડાકો જે વિસ્તારમાં થયો તે જ વિસ્તારની ગલીમાં અતીક અહેમદનો કેસ લડી રહેલા વકીલ દયા શંકર મિશ્રાનું નિવાસ સ્થાન આવેલું છે. આથી આ વિસ્ફોટ અતીકના વકીલને ડરાવવા માટે કરવામાં આવ્યો હોય તેવી વાતો પણ ચાલી રહી છે. પરંતુ આ માહિતી તદ્દન ખોટી છે તેવું પોલીસનુ કહેવું છે. ત્યારે આ માત્ર યુવાનોની સામાન્ય બોલાચાલીમાં કરેલી મસ્તીનું પરિણામ છે કે, ખરેખર કોઈ ષડયંત્રએ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








