નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium Ahmedabad) પર IPLની (IPL 2023) પ્રથમ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IPL સેરેમનીનો કાર્યક્રમ હોવાના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટના શોખીન લોકો મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં મોટી સંખ્યામાં લોકોના ફોન ચોરી થયા હોવાની ફરિયાદો સામે આવી હતી. જોકે ત્યારબાદ પણ મોબાઈલ ચોરી (Mobile Theft) કરતી ટોળકીએ અટકવાનું નામ ન લીધુ અને ચોરીને અંજામ આપવાનું ચાલું રાખ્યું. જોકે ચોર ટોળકીની શાણપટ્ટી વધુ સમય ટકી નહીં અને પોલીસના (Ahmedabad Police)હાથે ઝડપાઈ ગયા.
અમદાવાદમાં IPLની મેચનું આયોજન કરવામાં આવતા રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પ્રેક્ષકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. મેચ જોવામાં પ્રેક્ષકો એટલા તલ્લીન થઈ ગયા કે ક્યારે તેમના ખીસ્સામાંથી ચોર ટોળકી કળા કરી ગયા તેની ખબર જ ન રહી. આમ પ્રથમ ત્રણ મેચમાં પ્રેક્ષકોના 50 જેટલા ફોન ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રથમ મેચમાં 17, બીજી મેચમાં 16 અને ત્રીજી મેચમાં 17 જેટલા મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.
અમદાવાદમાં રમાયેલી ત્રણ IPL મેચમાં પ્રેક્ષકોના મોબાઈલ ચોરીની ઘટનાની ગંભીરતા દાખવીને ચાંદખેડા પોલીસે સીસીટીવી કેમેરા અને મોબાઈલના IMEI નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અમરાઈવાડી વિસ્તારમાં એક શખ્સનું નામ સામે આવતા તેને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, અન્ય ચાર આરોપી પણ મોબાઈલ ચોરી કરવામાં સામેલ હતા. ચાંદખેડા પોલીસને અન્ય આરોપીની જાણકારી મળતાં ચાંદખેડા અને અમરાઈવાડી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને અન્ય આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ચોર ટોળકી પાસેથી પોલીસને 200 મોબાઈલ મળી આવ્યા હતા. ટોળકી પાસેથી મળી આવેલા મોબાઈલની કિંમત રૂપિયા 1 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. ટોળકી પાસેથી મળી આવેલા મોબાઈલ મોટા ભાગના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ચોરવામાં આવ્યા હતા. જ્યારે એકલ-દોકલ ફોન રાહદારીઓના હાથમાંથી ઝૂંટવીને ટોળકી ફરાર થઈ જતા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








