નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણને કારણે આ વખતે પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ માહિતી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરીને કહ્યું છે કે દિલ્હીમાં લોકોને પ્રદૂષણના જોખમથી બચાવવા માટે ગયા વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી લોકોના જીવન બચાવી શકાય.
ગયા વર્ષે પણ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ અંગે NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે NGTના આદેશમાં સ્પષ્ટ છે કે જ્યાં હવાની ગુણવત્તા ખરાબ હશે ત્યાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જ્યાં હવાની ગુણવત્તા સારી હોય તેવા વિસ્તારોમાં પરવાનગી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ વિરુદ્ધ અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું હતું કે સ્વાસ્થ્ય પર ફટાકડાની કેટલી ખરાબ અશર પડે છે તેના સંશોધનની જરૂર નથી. શું તમારા ફેફસાં પર ફટાકડાની અસર સમજવા માટે અમને IITની જરૂર છે? આ સામાન્ય જ્ઞાન છે.








