નવજીવન ન્યૂઝ. ગાંધીધામ: ગાંધીધામમાં કરોડો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. વેપારીને સસ્તામાં સોનું આપવાનું કહીને તેની પાસેથી બે કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી. જો કે ઠગ ટોળકીએ કસ્ટમમાં ઝડપાયેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને વેપારીને બાટલીમાં ઉતારીને વેપારી જોડે છેતરપિંડી કરી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડી પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે.
માહિતી અનુસાર, ભાવનગરના ઇમરાન ધોળીયા નામના વેપારીને ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચ આપીને ગાંધીધામ બોલાવ્યો હતો. ઠગ ટોળકીએ પહેલા વેપારીને વિશ્વાસમાં લેવા માટે 100 ગ્રામ અસલી સોનું પાંચ લાખ રૂપિયામાં વહેંચ્યું હતું. જો કે વેપારીને વિશ્વાસ આવી જતાં ઠગ ટોળકીએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ કંડલા પોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપેલું સોનું સસ્તા ભાવમાં આપવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ વેપારીને ઓછામાં ઓછું 5 કિલો સોનું ખરીદવાનું કહીને ગાંધીધામ બોલાવ્યો હતો.
ભાવનગરના વેપારીને ગાંધીધામ બોલાવી માધવ ચેમ્બર્સમાં સોનાની ડિલિવરી પહેલા રૂપિયા આપવાનું કહીને 2.15 કરોડની કિંમત પડાવી લીધી હતી. ત્યાર બાદ ઠગ ટોળકીએ તેમના સભ્ય કંડલા સોનું લેવા માટે નીકળ્યા હતા. તેમના પ્લાનિંગ મુજબ આ ટોળકીના કેટલાક સભ્યો નકલી પોલીસ બનીને ગાંધીધામ ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને ઠગ ટોળકીના કેટલાક સભ્યોની અટકાયત કરીને લઈ ગયા હતા. ભાવનગરના વેપારીને છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં તાત્કાલિક ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.
વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ કાવતરામાં મુખ્ય આરોપી અમરેલીનો અર્જુન સોજીત્રા અને ભાવનગરના રમેશ રેવરનું નામ સામે આવ્યું હતું. જેને પગલે અમરેલી અને ભાવનગર પોલીસની મદદ લઈ આરોપી અર્જુનભાઈ પ્રદિપભાઈ સોજીત્રા અને રમેશભાઇ દુદાભાઈ રેવરને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ગાંધીધામ માધવ ચેમ્બર્સના ઓફીસ માલિક અને આરોપી અબ્દુલ મામદભાઈ લંઘા અને આરોપી ઇસ્માઇલ લંઘાને LCB એ ઝડપી પાડ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી અર્જુન સોજીત્રા પાસેથી 1.27 કરોડની રોકડ રકમ, ૨૦,૫૦૦ ની કિંમતના ચાર મોબાઇલ કુલ રોક્ડા રૂ. 1,32,50,000, એસ.યુ.વી.-300 કાર કિંમત રૂ. 6 લાખ અને મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ. 57,000 મળી કુલ રૂપિયા 1,39,09000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર આરોપી સાહિલખાન નસીબખાન જત અને તેની સાથે આવેલ એક વ્યક્તિ ઉપરાંત સાદા ડ્રેસમાં નકલી પોલીસ તરીકેની ઓળખ આપનાર સુલેમાન શેખ તેની સાથેનાં બે અજાણ્યા વ્યક્તિને પકડી પડવાં પોલીસે તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











