Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabad'વેદાંતના દગા પછી પણ નીશી પાછી આવી હોત તો હું તેને સ્વીકારી...

‘વેદાંતના દગા પછી પણ નીશી પાછી આવી હોત તો હું તેને સ્વીકારી લેતો, જીવન ટુંકાવાની ક્યાં જરૂર હતી?’

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-70): Nadaan Series : પોલીસને જે પ્રશ્ન હતો, તે જ પ્રશ્ન ગોપાલનાં મનમાં પણ હતો. નિશીએ આત્મહત્યા શું કામ કરી? ગોપાલનું મન માનવા જ તૈયાર નહોતું કે, નિશી હવે આ દુનિયામાં રહી નથી! ગોપાલે અખબારમાં સમાચાર વાંચ્યા હતા. તેમાં લખ્યુ હતું કે, “નિશી પંચાલ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.”

રાકેશને પણ ખબર હતી કે, અખબારમાં સમાચાર આવ્યા છે એટલે ગોપાલને જેલમાં પણ ખબર તો પડશે જ. કદાચ એટલે જ રાકેશ મુલાકાતમાં આવ્યો હતો. રાકેશે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “નિશીએ તારાથી અલગ થવાનો નિર્ણય કર્યો તેનું મને બહુ ખરાબ લાગ્યું હતું. એના ઘણીવાર ફોન આવતા હતા, પણ હું તેનો ફોન રિસિવ કરતો નહોતો. તેણે મને મેસેજ કરીને મળવા માટે વિનંતી કરી ત્યારે હું તેને મળવા પણ ગયો હતો.

- Advertisement -

તને સજાનો હુકમ થયો ત્યાર પછી એના પપ્પા નિશીને સતત ડિવોર્સ આપવા માટે દબાણ કરતા હતા. નિશી તને ડિવોર્સ આપવા માગતી નહોતી; પણ પછી અચાનક તેની જિંદગીમાં રહેલી ખાલી જગ્યા ભરવા વેદાંત આવી ગયો. નિશી એના પ્રેમમાં તો પડી, પણ મનમાં તેને સતત અફસોસ હતો કે, તેણે તને દગો આપ્યો છે. તેનું મન સતત તેને ડંખ્યા કરતું હતું અને તેનું મગજ ભવિષ્યની ચિંતાને કારણે તેને વેદાંત સાથે લગ્ન કરી લેવાનું કહેતું હતું.

નિશી મને મળી ત્યારે તને યાદ કરીને ખૂબ રડી હતી. તેણે કહ્યું હતું કે, મારા બદલે તું એની માફી માગજે; પણ હું તને જ્યારે પણ મળવા આવ્યો, ત્યારે મેં તને નિશીની વાત કરી નહીં. કારણ કે હું તને ડિસ્ટર્બ જોવા માગતો નહોતો. નિશી સાથે પછી મારી વાત થતી હતી. તે દરેક વખતે તારી ખબર મને અચૂક પૂછતી.

નિશી તને ક્યારેય ભૂલી શકી જ નહીં. વેદાંતે જ્યારે પોતાના ઘરે નિશી સાથે લગ્નની વાત કરી, ત્યારે વેદાંતના મમ્મી–પપ્પાએ ચોખ્ખી ના કહી દીધી. કારણ કે નિશી અલગ જ્ઞાતિની હતી. પછી નવો મુદ્દો આવ્યો હતો કે, નિશી ડિવોર્સી છે. પણ વેદાંતને ભરોસો હતો કે, તે એના મમ્મી પપ્પાને સમજાવી લેશે. નિશીને આ વાતનો બહુ ડર લાગતો હતો. તેણે મને પૂછ્યું હતું કે, વેદાંત મને છોડી તો નહીં દેને?”

- Advertisement -

રાકેશ એક ક્ષણ રોકાયો. પછી તેણે ગોપાલ સામે જોતાં કહ્યું, “જ્યારે નિશીએ મને આવો સવાલ પૂછ્યો હતો ત્યારે મને અંદરથી ખૂબ ગુસ્સો આવ્યો હતો. મને થતું કે, તે ગોપાલને છોડી દીધો ત્યારે તને ગોપાલનો વિચાર નહોતો આવ્યો? પણ હું તેને એવું પૂછી શક્યો નહીં.”

રાકેશે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, “તું પણ મારો મિત્ર અને નિશી પણ મારી મિત્ર, છતાં ક્યારેક મારા મનમાં બદલો લેવાની ભાવના આવી જતી હતી. મારું મન નિશીને શ્રાપ આપી રહ્યું હતું કે, તે ગોપાલ સાથે જેવું કર્યું છે, એવું જ ભગવાન તારી સાથે પણ કરશે.”

રાકેશના ચહેરા પર અફસોસનો ભાવ આવી ગયો. એણે કહ્યું, “મને ખબર નહોતી કે, મારો શ્રાપ પણ સાચો પડી શકે છે.”

- Advertisement -

આટલું બોલ્યા પછી રાકેશ શ્વાસ લેવા એકાદ મિનિટ રોકાયો પછી કહ્યું, “પરમદિવસે સવારે મને નિશીનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, કોર્ટે ડિવોર્સનો ઓર્ડર કરી દીધો છે. હું કઈ બોલ્યો નહીં. તેણે મને કહ્યું, ગોપાલની કોપી હું તને આપી જઈશ. મને ત્યારે બહુ ખરાબ લાગ્યું હતું.

હવે તો નિશી માટે વેદાંત સાથે લગ્ન કરવાનો રસ્તો કાયદેસર રીતે પણ ખુલી ગયો હતો. વેદાંતનો પરિવાર તૈયાર થાય એટલે નિશી અને વેદાંત પોતાની એક નવી સફર શરૂ કરવાનાં હતાં. પણ એ રાતે જ સમાચાર મળ્યા કે, નિશીએ આત્મહત્યા કરી લીધી છે. નિશીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે.

મને આશ્ચર્ય એ બાબતનું હતું કે, ડિવોર્સ મળી ગયા પછી પણ આત્મહત્યા કરવાનું શું કારણ હતું? હું અને પપ્પા નિશીના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનમાં પણ ગયા હતા. ત્યાં નિશીની સોસાયટીના ઘણા લોકો હતા. મેં તેમની વાત સાંભળી ત્યારે મને આઘાત લાગ્યો. સોસાયટીમાં ઘણાબધા લોકોએ વેદાંત અને નિશીને સાથે જોયાં હતાં. જેના કારણે તેમની વચ્ચે કંઈક છે, તેવી ચર્ચા પણ હતી.

જે દિવસે નિશી ડિવોર્સનો ઓર્ડર લઈને આવી, ત્યારે નિશીને ખબર પડી કે વેદાંત તેના મમ્મી–પપ્પાએ પસંદ કરેલી કોઈ છોકરી સાથે સગાઈ કરી રહ્યો છે. નિશીએ તેને ખૂબ ફોન કર્યા, પણ વેદાંતે એનો ફોન ઉપાડ્યો જ નહીં, કારણ કે ત્યારે જ વેદાંતનાં ઘરમાં સગાઈની વિધિ ચાલી રહી હતી. નિશી આ આઘાત સહન કરી શકી નહીં. કદાચ વેદાંતના આ નિર્ણય પછી નિશી પોતાને જ માફ ન કરી શકી.”

રાકેશે જોયું કે, ગોપાલની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા છે. રાકેશ પણ પોતાનું રુદન રોકી શક્યો નહીં. તેને નિશી પર પહેલા ગુસ્સો હતો, પણ હવે તો નિશી પર ગુસ્સો પણ કરી શકાય તેમ નહોતું. કારણ કે તે હવે આ દુનિયામાં રહી જ નહોતી. રાકેશને લાગ્યું કે, તે લાંબો સમય ગોપાલ સામે ઊભો રહી શકે તેમ નથી. તેણે ગોપાલને કહ્યું, “ચાલ, પછી મળીએ.”

આટલું કહીને એ મુલાકાતરૂમની બહાર જતો રહ્યો. હજી ગોપાલની આંખમાં આંસુ હતા. એ મુલાકાતરૂમના સળિયા પકડીને એમ જ ઊભો હતો. થોડીવાર પછી એક સિપાહીનું ધ્યાન તેની તરફ ગયું. તેણે બૂમ પાડીને કહ્યું, “ચાલ ભાઈ, તારી મુલાકાત પૂરી થઈ હોય તો નીકળ.”

ગોપાલ મુલાકાતરૂમની બહાર નીકળ્યો. રૂમની બહાર જ વિરાંગ ઊભો હતો. તેણે ગોપાલનો હાથ પકડ્યો અને નજીકમાં આવેલાં લીમડાનાં ઝાડ પાસે લઈ ગયો. તેણે ગોપાલ સામે જોયું. ગોપાલે કહ્યું, “રાકેશ આવ્યો હતો.”

વિરાંગે કંઈ જ પૂછ્યું નહીં. ગોપાલે પગના અંગુઠાથી જમીન કોતરતાં કહ્યું, “નિશી સાથે પણ મારા જેવું જ થયું. વેદાંતે પોતાનાં મમ્મી–પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે સગાઈ કરી લીધી. નિશી એ આઘાત સહન કરી શકી નહીં.”

વિરાંગ પાસે હવે પૂછવા જેવું કંઈ જ નહોતું. ગોપાલે વિરાંગ સામે જોતાં કહ્યું, “નિશીએ આવું પગલું ભરવાની જરૂર નહોતી. હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે, નિશી જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે; પણ નિશી તો દુનિયા જ છોડીને જતી રહી!”

ગોપાલે વિરાંગના ખભે હાથ મૂકતાં કહ્યું, “વેદાંતે એને દગો આપ્યો એ પછી પણ નિશી મારી પાસે પાછી આવી હોત; તો હું એને સ્વીકારી લેતો. કારણ કે નિશી ભલે મારાથી અલગ થઈ હતી, હું તો એનાથી ક્યારેય અલગ થયો જ નહોતો.”

વિરાંગ અને ગોપાલ પોતાની બેરેક તરફ ચાલવા લાગ્યા. ગોપાલ એકલો એકલો બબડી રહ્યો હતો કે, નિશીએ આવું કરવાની જરુર નહોતી. બેરેકમાં પહોંચ્યા ત્યારે જમવાનું આવી ગયું હતું. ગોપાલ અને વિરાંગની થાળી કોઈ કેદીએ ઢાંકી રાખી હતી; પણ તે રાતે ગોપાલ તો ઠીક, વિરાંગ પણ જમી શક્યો નહીં. કદાચ તેઓ બંને સૂઈ પણ નહીં શક્યા હોય.

(ક્રમશઃ)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular