આસીફ કાદરી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં (Ahmedabad)ઘણા વર્ષોથી ગેરકાયદે રહેતા બાંગલાદેશી નાગરિકોને પોલીસ દ્વારા પકડીને બાગ્લાદેશ (Bangladesh)પાછા મોકલવામાં આવી રહ્યા છે, તેમ છતાં આ સમસ્યા અટકવાનું નામ નથી લઈ રહી. આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા 50 જેટલા બાંગલાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ આંકડો હજુ વધીને 200 સુધી પહોંચી શકે છે, તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા થોડા દિવસો અગાઉ 3થી 4 બાંગલાદેશી નાગરિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બાદમાં તેમની પૂછપરછ દરમિયાન અમદાવાદમાં ગેરકાયદે રહેતા અન્ય બાંગલાદેશી નાગરિકોની પણ માહિતી મળી હતી. જેના આધારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટના અંગે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “પોલીસને માહિતી મળી હતી કે કેટલાક બાંગલાદેશી લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. જેના આધારે 3થી 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરતાં 200 જેટલા લોકો આવી રીતે અમદાવાદમાં ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાદમાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હાલ જે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે તેમાં સામે આવ્યું છે કે, જે લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. તેમાંથી પુરુષો છૂટક મજૂરી કરે છે અને મહિલાઓ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. હાલ પોલીસ દ્વારા આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.”