નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (BJP) શાસન સામે ફરી એક વખત તમામ વિપક્ષી દળ એક થવાની વાતો કરી રહ્યા છે. ત્યારે બિહારના પટનામાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-ML)ના અધિવેશનમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) સહિત RJDના તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં નીતીશ કુમારે આપેલા વકતવ્યમાં વિપક્ષને મજબૂત કરવાનો ભાર કોંગ્રેસને સોંપ્યો હતો. નીતીશ કુમારે ભાષણમાં કોંગ્રેસને કહ્યું કે ઘણા પક્ષો એક થવાની રાહ જૂએ છે બસ હવે રાહ તમારી છે. પરંતુ નીતીશ કુમારને રમૂજી રીતે જવાબ આપતા કોંગ્રેસના સલમાન ખુર્શિદે (Salman Khurshid) કહ્યું હતું કે, વાત એ છે કે પહેલા આઈ લવ યુ કોણ કહે.
બિહારના પટણામાં 16 ફેબ્રુઆરીના રોજથી CPI-ML નું ભાકપા માલે 11મું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. જેમાં બિહારના મુખ્યમંત્રી, કોંગ્રેસના સલમાન ખુર્શિદ અને જેડીયુના તેજસ્વી યાદવ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ મંચ પરથી નીતીશ કુમારે વિપક્ષને એક થવાની વાત પર ભાર મુકતા કહ્યું હતું કે, હવે કોંગ્રેસે નિર્ણય કરવો પડશે કે 2024ની રણનીતિ શું હશે. તેમજ વિપક્ષની એકતા પણ મજબૂત કરવી પડશે. જો આ કામ કરવા કોંગ્રેસ તૈયાર થાય તો ભાજપની 100 સીટ પણ માંડ આવે તેવી સ્થિતી થશે. સાથે જ નીતીશે કહ્યું હતું કે, અમે તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ કેટલાય પક્ષ એક થવાની તૈયારીમાં છે. બસ તમારા નિર્ણયની રાહ છે. અમારે કંઈ નથી જોઈતું અમે ઈચ્છીએ છીએ કે 2024માં તમામ વિપક્ષી દળ એક થઈ મજબૂતાઈથી ભાજપનો સામનો કરે.
નતીશના ભાષણનો જવાબ આપતા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે કહ્યું હતું કે, તમે જેવું વિચારો છો તેવું કોંગ્રેસ પણ વિચારી રહી છે. બસ વાત એટલી છે કે પહેલા આઈ લવ યુ કોણ કહેશે. અમે તમારી વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી દઈશું, આમ પણ હું એક વકીલ છું તો તમારી વકાલત કરીશ.
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે, ભાજપ મંદિર, મસ્જિદ અને ગાયની ચર્ચા કરતો હતો. પણ નફરતનું રાજકારણ કરનારાઓએ જાણી લેવું જોઈએ કે દેશ કોઈના બાપનો નથી, જે મુસ્લિમો પાસેથી મતદાનનો અધિકારી છીનવી શકે. ભાજપ અને સંઘ પર આક્ષેપ કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, તેઓ મનુસ્મૃતિ અને ગોલવલકરના સિધ્ધાંતને બંધારણ બનાવી દેવા માગે છે. પણ દેશની પ્રજા એ ઈરાદો નહીં પાર પડવા દે. સાથે જ મંત્રી મંડળના વિસ્તર બાબતે તેજસ્વીએ કહ્યું હતું કે અમે કોંગ્રેસની રાહ જોઈ રહ્યા છીએ.
મહત્વની વાત છે કે, ભાજપ સાથે પોતાના પક્ષ જે.ડી.યુ. નાતો તોડી આર.જે.ડી.નો સાથ લઈ નીતીશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. અને હવે તેઓ વિપક્ષી એકતા માટે કોંગ્રેસને આગેવાની લેવાની વાત કરે છે. પરંતુ તાજેતરમાં જ તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમાપનમાં આમંત્રણ હોવા છતાં હાજર રહ્યા ન હતા. આ જ પ્રકારે આર.જે.ડી.ના તેજસ્વી યાદવ પણ આ યાત્રાના સમાપનમાં જોડાયા ન હતા. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તેમની વિપક્ષી એકતાની આગેવાની લેવાની સલાહને કેટલી યોગ્ય સમજે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








