નવજીવન ન્યૂઝ. ઉના: Una Crime News: ગીર સોમનાથના (Gir Somnath) ઉનામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં સમોસાની લારી ચલાવતા યુવકને મોતને ઘાટ ઉતારી દઈ એક પુલ પર કોથળા ઢાંકી મૃતદેહ છુપાવી દેવાયો હતો. આ હત્યા (Murder) કેસમાં પોલીસ (Gujarat Police)3 આરોપી સુધી પહોંચવામાં સફળ થતા હત્યાના કારણનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
કડી જોડાતી ગઈ અને…
ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઉનાામાં કોર્ટ વિસ્તારમાં સમોસાની લારી ચલાવતો યુવક ઈમ્તિયાઝ અબ્દૂલરહિમ શેખ લાપતા થયો હતો. સમોસાની લારીએથી ઘરે આવી થોડી વારમાં પરત ફરવાનું કહી નિકળેલા યુવકને શોધતા પરિવારને અંતે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસને ઉના બાયપાસ પર તપોવન પાટીયા પાસેના પુલ પરથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પરના કપડા, ચપ્પલ તેમજ કાનની કડીના આધારે તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલા અલ્ફાઝની હોવાનું સામે આવ્યું હતું. શંકાસ્પદ હત્યાનો બનાવ સામે આવતા પોલીસે ફોરેન્સિકની મદદ મેળવી હતી જેમાં સ્પષ્ટ થયું હતું કે મૃતકને ચાકૂ જેવા હથિયારથી રહેંશી નાખવામાં આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટીએ તો આ કોયડો ઉકેલવો મુશ્કેલ હતો પરંતુ પોલીસે સઘન તપાસ શરૂ કરતા એક પછી એક કડીઓ જોડાવા લાગી અને પોલીસ 3 આરોપી સુધી પહોંચી હતી.
દરેક આરોપી પાસે હત્યાનું કારણ હતું…
પોલીસે આ મામલે તપાસ કરતા સમોસાની લારીનો માલિક જ હત્યારો નિકળતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે પકડેલા આરોપી ઈરફાન મહંમદ શેખ ઉં. 40, આરિફ ગુલામ મહંમદ મુન્સી ઉં. 44 અને સાહિલ હામત મુન્સી ઉં. 22ની આગવી ઢબે પુછપરછ કરતા હત્યાનું કારણ અને હત્યાની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે, સમોસાની લારીના માલિક આરિફને ત્યાં મૃતક અલ્ફાઝ 4 વર્ષથી કામ કરતો હતો. દરમિયાન અલ્ફાઝ સમોસા, ભજીયાનો સામાન લેવા-મુકવા આરોપીના ઘરે જતો હતો. જેના કારણે આરોપીને પોતાની પત્ની સાથે તેને પ્રેમ સબંધ હોવાની શંકા ઉપજી હતી અને તે આ બાબતે પત્નીને બ્લેકમેઈલ કરતો હોવાનું માલૂમ પડતા આરોપી આરિફે અલ્ફાઝની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ વાત આરોપી આરિફેના સાળા ઈરફાન ઉર્ફે અલ્ફાનને જણાવી તે પણ હત્યાના કામમાં સામેલ થયો હતો. વળી ત્રીજો આરોપી સાહિલ પોતાને મૃતક અલ્ફાઝની બહેન સાથે લગ્ન કરવા હોય અલ્ફાઝ નડે નહીં માટે હત્યાના કામમાં જોડાયો હતો.
હોશિયારી કામ ન લાગી…
આખરે 7 ફેબ્રુઆરીના રોજ ત્રણેય આરોપીઓએ મળી અલ્ફાઝનો કાંટો કાઢવાનું નક્કી કરી લીધું. આ માટે આરોપીઓએ રાત્રિનો અંધકાર પસંદ કર્યો અને આરિફના ઘરે મૃતક સામાન મુકવા જાય તેની રાહ જોવા લાગ્યા હતા. બાદમાં આરોપીઓએ અલ્ફાઝને ઉના બાયપાસના તપોવન પાટીયા પાસે તેને ગીર ગઢડા રોડ પર બોલાવ્યો અને ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન ઘાતક હથિયારો વડે અલ્ફાઝને મોતને ઘાટ ઉતારી પુલ ઉપર જ તેના મૃતદેહનો કોથળાથી ઢાંકી મુકી દીધો અને જાણે કંઈ નથી થયું તેમ ઘરે પરત જતા રહ્યા હતા. એટલું જ નહીં પણ જ્યારે અલ્ફાઝના પિતા પોતાના દિકરાને શોધવા નિકળ્યા ત્યારે આરોપી ઈફાન અને સાહિલ પણ તેમની સાથે જોડાયા હતા અને શોધખોળનું નાટક શરૂ કર્યું હતું. જ્યારે તેઓ આરિફના ઘરે પહોંચી શોધખોળ કરતા હતા ત્યારે આરિફે પોતાનું માથુ દુઃખતું હોવાનું કહી શોધખોળના નાટકમાં જોડાયો નહીં. પરંતુ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરતા આરોપીઓની કોઈ હોંશિયારી કામ લાગી ન હતી અને ઝડપાઈ ગયા હતા.
મહત્વની વાત છે કે ચકચારી હત્યાના બનાવમાં ગીર સોમનાથ એલ.સી.બી. એ પણ ઉના પોલીસ સ્ટેશન સાથે તપાસમાં ઝુકાવ્યું હતું. દરમિયાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ મોરી, પ્રફુલ વાઢેર અને રાજૂભાઈ ગઢીયા તેમજ કોન્સ્ટેબલ સંદિપસિંહ ઝણકાટને માહિતી મળતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796