ભારત આ વર્ષે, ૧૧૨૦ લાખ ટન ઘઉ ઉત્પાદન સાથે વધુ એક વિક્રમ સ્થાપિત કરશે
રશિયા અને યુક્રેને ગતવર્ષે સંયુક્ત રીતે વિશ્વની કૂલ ઘઉ નિકાસમાં ૨૯ ટકા હિસ્સો આપ્યો હતો
આગામી વર્ષે તમામ અનાજોના ભાવમાં ૨૨ ટકાની વૃધ્ધિ શક્ય: ફાઓ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): યુદ્ધ આગળ વધે કે અટકી પડે પણ જગતમાં ઘઉની અછત થવાની સંભાવના ઓછી છે. શિકાગો ઘઉ વાયદો માર્ચના પ્રથમ સપ્તાહમાં ૯ વર્ષની ઊંચાઈએથી લગભગ ૨૦ ટકા ગબડી પડ્યો છે. અલબત્ત, ભાવ હજુ પણ કોરોના મહામારી પૂર્વે કરતાં બમણા છે. માર્ચના આખરી સપ્તાહમાં એનાલિસ્ટો એવા મત પર આવ્યા હતા કે યુક્રેન સાથેના યુદ્ધ છતાં વર્તમાન ઘઉ વર્ષમાં રશિયન ઘઉ નિકાસ માત્ર ૭૦ લાખ ટનની ઘટ આવશે. વાસ્તવમાં વેપારને બહુ નાની મોટી અસર થવાની છે.
પણ હા, આ નાની સરખી ઘટનાએ ભાવને ઉપરના સ્તરે જવામાં મદદ કરી છે, પણ આનાથી વૈશ્વિક ઘઉના ગોડાઉનો ક્યારેય ખાલી નથી થઈ જવાના. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ફેબ્રુઆરી મધ્યથી માર્ચના આરંભ સુધીમાં ઘઉ વાયદામાં ભાવની શું હાલત થઈ હતી? ૧૮ માર્ચે રશિયાએ હુમલો કર્યો તે અગાઉના દિવસે ભાવ હતો ૮.૦૪ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો). ત્યાર પછીના ત્રણ સપ્તાહ સુધી બજારમાં વોર પ્રીમિયમ અને ઉથલપાથલ શરૂ થઈ. મે વાયદો આરંભાયો તેજ દિવસે ૭ માર્ચે ૧૪.૨૪ ડોલર થયો, અને રોકેટ ગતિએ જાન્યુઆરી ૨૦૦૮ના ભાવ કુદાવી ગયો.
ઓસ્ટ્રેલીયા ૨૦૨૧-૨૨નો ૨૭૫ લાખ ટન વિક્રમ પાક લાણીને બજારમાં આવી રહ્યું છે, એમ અમેરિકન કૃષિ માત્રાલએ કહ્યું છે. યુએસડીએ કહે છે કે યુરોપિયન યુનિયન ૩૭૫ લાખ ટન રશિયા ૩૨૦ લાખ ટન લણણી કરશે. પણ અહી સવાલ એ છે કે રશિયા પર જ્યારે વેપાર નિયંત્રણો લાગુ પડાયા છે, ત્યારે તે તેની નિકાસ કેટલી કરી શકશે?
ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બારલિ રિસર્ચનું અનુમાન છે કે ભારત આ વર્ષે, ૧૧૨૦ લાખ ટન ઘઉ ઉત્પાદન સાથે વધુ એક વિક્રમ સ્થાપિત કરશે, ગત વર્ષે ઉત્પાદન ૧૧૦૦ લાખ ટન આવ્યું હતી. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોએલએ કહ્યું હતું કે ભારતમાં ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦૧૫ કરતાં બજાર ભાવ ક્યાંય વધુ ઉપજતા હોવાથી આ વર્ષે નિકાસ ૧૦૦ લાખ ટનને આંબી જશે. ભારતે વર્તમાન નાણાકીય વર્ષમાં ૭૮.૫ લાખ ટન વિક્રમ ઘઉની નિકાસ કરી છે, જે ગતવર્ષે માત્ર ૨૧ લાખ ટન હતી. આજની તારીખે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોદામોમાં ૫૦૮ લાખ ટન ઘઉ સ્ટોક પડ્યો છે, તેમાંથી ૨૧૦.૪ લાખ ટન બફર સ્ટોક છે.
ગતવર્ષે રશિયા અને યુક્રેનને સંયુક્ત રીતે વિશ્વની કૂલ ઘઉ નિકાસમાં ૨૯ ટકા હિસ્સો આપ્યો હતો. આમ છતાં જો પારદર્શક રીતે નિકાસ વેપાર ગોઠવવામાં આવે, માંગ અને પુરવઠાને આધારે ભાવ નિર્ધારિત થાય અને બજારમાં તંદુરસ્ત વેપાર સ્પર્ધા ટકી રહે તો વિશ્વમાં ક્યાંક ઘઉની અછતનો ભય નથી. ફાઓએ સર્વાંગી રીતે ભય વ્યક્ત કરતાં કહ્યું છે કે જો આ યુદ્ધ વધુ આગળ વધશે તો આગામી વર્ષે તમામ અનાજોના ભાવમાં ૨૨ ટકાની વૃધ્ધિ શક્ય છે.
આ ઘટનાને લીધે આખા વિશ્વમાં અનાજના સ્ટોકમાં મોટી ઉથલપાથલ થઈ છે, અને તેને લીધે વિશ્વને ફુગાવાના ઊંચા દરનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધભૂમિ યુક્રેનમાં ૨૦૨૨/૨૩માં મકાઇ, કડધાન્ય, અને સનફલાવરનો શિયાળુ વાવેતર વિસ્તાર ૨૦થી ૩૦ ટકા જેટલો ઘટી જવાનો અંદાજ ફાઓએ બાંધ્યો છે. ઉકારએગ્રો કંસલ્ટન્ટનું માનવું છે કે ૨૦૨૨/૨૩માં ઘઉ વાવેતર વિસ્તાર ૨૭ ટકા ઘટશે અને યીલ્ડ (ઊપજ) ૧૬ ટકા ઘટવાના અનુમાન સાથે આખરી ઉતારો ૩૮ ટકા નાનો આવશે. આના માટે તેઓ યુદ્ધ અને ખાતરની અછતને પણ જવાબદાર ગણે છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








