નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમિયાન કોમી છમકલુ થયું હતું. જોકે સમગ્ર ઘટના બાદ મામલો બીચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 30 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી 13 લોકોની ધરપકડ કરી અસામાજીક તત્વોને શોધવાની કવાયત હાથ ધરી છે.
આવતી કાલથી ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને શહેરમાં નાના-મોટા ગણેશમંડળો દ્વારા ધામધુમથી શ્રીજીને પંડાલમાં લઈ જવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વડોદરામાં શાંતીનું વાતાવરણ ડોહળાવાનો પ્રયત્ન અસામાજીક તત્વ દ્વારા કરવામાં આવ્યો છે. શ્રીજીની સવારી મોડી રાત્રે પાણીગેટથી આયુર્વેદિક ત્રણ સસ્તા તરફ જઈ રહી હતી તે દરમિયાન સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં શાંતિનો માહોલ ડોહળાયો હતો. બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થતા શ્રીજીની સવારીમાં દોડધામ મચી ગઈ હતી.
અસામાજીક તત્વોએ ધાર્મિક સ્થાન પર પણ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. ઉપરાંત રોડ પર રહેલી ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા હતા અને ખાણી-પીણીની લારીઓમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મામલો વધુ બીચકે તે પહેલા જ શાંત પાડી સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કર્યું હતું. પોલીસે સમગ્ર બનાવ અંગે બંને કોમના 30 લોકોનાં ટોળા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટરે આર.એસ.ડામોર ફરિયાદ નોંધી છે. ઉપરાંત મોડી રાત્રે 13 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.








