નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એક તરફ અકસ્માતને અટકાવવા માટે સતત ડ્રાઈવ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ નબીરાઓ કાયદો અને વ્યવસ્થાને ધોળીને પી ગયા હોય તેમ બેફામ બનીને ડ્રાઇવિંગ કરી રહ્યા છે. રોજ અમદાવાદનાં કોઈને કોઈ વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગઇકાલે રાત્રિના સમયે અમદાવાદનાં એલિસ બ્રિજ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી MG લાઇબ્રેરી પાસે ગઈકાલે ગુરવારે આઠ વાગ્યા અરસામાં જમાલપુરમાં રહેતો યુવક સાહિલ શબ્બીર અહેમદ પોતાની બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક બેફામગતિએ દોડી રહેલી કારે સાહિલને અડફેટે લીધો હતો. તેને કારની ટક્કર વાગતા તે બ્રિજના ડીવાઈડર સાથે અથડાયો હતો. જે કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તેને સારવાર મળે તે પેહલા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે ત્યાંથી પસાર થતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
ઘટનાને લઈ પોલીસે મૃતકના પરિવારને જાણ કરતા મૃતકના પરિજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ મામલે પીડિત પરિવાર દ્વારા આરોપીને પક કડકમાં કડક સજા કરવા માગ કરી છે. ઘટનાને લઇ M ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કારચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ હાથધરી છે.








