નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બજારમાંથી લવાયેલા ખીરામાંથી બનેલાં ઢોસા ખાવાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોત (Suspicious Death of Two Girls) ના કિસ્સાને પાંચ દિવસ થયાં, પરંતુ હજુ સુધી મોતનું કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી. ચાંદખેડા પોલીસે (Chandkheda Police) અનેક પુરાવા અને સેમ્પલ એકત્ર કરી મૃતકના પરિવારના નિવેદનો નોંધ્યા છે. ફૉરેન્સિક રિપૉર્ટ નથી આવ્યો જેના કારણે મોતનું ચોક્કસ કારણ સામે નથી આવતું આથી પોલીસે લાઇ ડિટેક્શન ટેસ્ટ (Lie Detection Test) કરાવવાનું મન બનાવી લીધું છે. માતા-પિતા અને દાદા-દાદીનો લાઇ ડિટેક્શન આગામી સમયમાં કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
મૃતક બાળકીઓના માતા-પિતાના બ્લડ સેમ્પલમાં ઉંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા પોલીસે આ કેસમાં તમામ પાસા ચકાસવાના શરૂ કર્યા છે. બીજી તરફ પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા પણ માતા-પિતા સામે શંકાની આંગળી ચિંધી રહી છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ અને વિશેરા સેમ્પલના FSL રિપૉર્ટની ચાંદખેડા પોલીસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. સમગ્ર કેસની તપાસમાં ફૉરેન્સિક રિપોર્ટ અને તબીબોના અભિપ્રાય બાદ પોલીસ ચર્ચાસ્પદ કેસમાં સત્ય સુધી પહોંચશે.
ફૉરેન્સિક રિપોર્ટના પગલે હવે ચાંદખેડા પોલીસ દ્વારા હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ તૈયાર ખીરાના ઢોસા ખાવાના કારણે બે બાળકીઓના મોત થાય તે આરોપ અંગે સૌને શરૂઆતથી જ શંકા હતી. પોલીસ અનેક વખત મૃતકના માતા-પિતા અને દાદા-દાદીની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ બાળકીઓના મોત માટે ઘનશ્યામ ડેરી (Ghanshyam Dairy) થી લવાયેલું ઢોસાનું ખીરૂં જવાબદાર હોવાનું રટણ કરાઈ રહ્યું છે. જેથી આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે પ્રજાપતિ પરિવાર (Prajapati Family) ના સભ્યોનો લાઇ ડિટેકશન ટેસ્ટ કરાવવાની પોલીસે તૈયારીઓ આરંભી છે.








