નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ કોઈ પરિવારમાં આકસ્મિક મોત થયું હોય તો તે પરિવારની હાલત કેવી હોય? અને તે સંજોગોમાં તે પરિવાર સાથેનું આપણું વર્તન કેવું હોય? ખાસ કરીને ત્યારે જ્યારે આપણા શરીર પર ખાખી વર્દી હોય. સામાન્ય સમજણની વાત છે પરંતુ અહીં સુરેન્દ્રનગરના પાટડીમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં આ બધું જ પોલીસે નેવે મુકી દીધું છે. મૃત વ્યક્તિ મારો બાપ છે, ડોક્ટર ક્યાં છે? આવો ઉગ્ર સવાલ કરતા પરિવારજન પર પોલીસ કેવી રીતે લાફાવાળી કરે છે તે અહીં વીડિયોમાં દેખાય છે. આ ઘટનામાં તે વ્યક્તિ સામે પ્રોહીબીશન કાયદા પ્રમાણે ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા સભાનતામાં કરવામાં આવેલા કૃત્ય અંગે કોઈ ફરિયાદ કરાઈ નથી.
ઘટનાની વિગતો એવી છે કે, પાટડીમાં પીઆઈનો હાથ પકડી સાહેબ કહીને પોતાની વાત રજૂ કરતા વ્યક્તિને પહેલા તો પીઆઈએ જ એક ગાલ પર ચોંડી દીધી. જેની તસવીર પણ અમે અહીં દર્શાવી રહ્યા છીએ. વીડિયો બ્લર કરીને બતાવી રહ્યા છીએ કારણ કે આ પ્રકારના વીડિયો વાયોલન્સની કેટેગરીમાં આવે છે. હવે આગળ વાત કરીએ તો આ મામલે ફરી સોલડીના શિક્ષકનું હૃદય રોગમાં મોત થયું હતું. બુબવાણાના વતની રાજેન્દ્રભાઈ કુબેરભાઈ જાદવ જે ધ્રાંગધ્રામાં સોલડી ગામના શિક્ષક છે તે વેકેશન દરમિયાન ઘરે હતા. ત્યારે આ ઘટના બની હતી અને તે બાદ પરિવારજનો તેમને તુરંત હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા.
આ ઘટના પછી રમેશ ભીમાભાઈ જાદવ નામના મૃતકના સંબંધિ તેમને લઈને પહોંચે છે પાટડીના સરકારી દવાખાને જ્યાં ડો. કલ્પેશ નાકીયા દ્વારા વ્યક્તિ મૃત હોવાનું જાહેર કરાયું. તે સમયે રમેશ મૃત્યુની વાત જાણી બગવાઈ ગયો અને તેણે ત્યાં જ ડોક્ટર ક્યાં છે? ડોક્ટર ક્યાં છે? જોર જોરથી બુમો પાડવાની શરૂ કરી. પાટડીના પીઆઈ પણ ત્યાં દોડી ગયા. અહીં વીડિયોમાં દેખાય છે કે, જ્યારે મૃતકે પોલીસને ત્યાં જોઈ તો પોતાની વાત રજૂ કરવા તેણે પીઆઈનો બાવડાથી હાથ પક્ડ્યો અને કહ્યું સાહેબ, નાની છોકરી… બસ સાહેબનો અહમ ઘવાઈ ગયો કે મારું બાવડું પકડ્યું. પણ સાહેબ તેની લાગણી સમજી શક્યા નહીં કે તે પરિવારજનનું એક મોત જોઈને ઊભો છે અને બગવાયો છે. પણ સાહેબ તો ખાખી અને ત્રણ સ્ટારના મદમાં એવા બગવાયા કે પોતાની અંદરનો માણસ નેવે મુકી દીધો. કદાચ પોલીસની નોકરી દરમિયાન એટલી લાશો અને રડતા લોકો જોવાની ટેવને કારણે હવે તેમના અંદર આ સંવેદના નહીં રહી હોય. પણ બીજી બાજુ સામેનો વ્યક્તિ રોજ લાશ જોતો નથી રોજ લાશ પર રડતા લોકો જોતો નથી.
સામેના વ્યક્તિને પીઆઈએ એક ચોંડી દીધી અને પછી તો જાણે તેમની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને તાન ચઢ્યું, હિંમત મળી કે બહાનું મળ્યું ખબર નહીં પણ તેઓ સટા સટ લાફા અને પાટાથી વળગી પડે છે. આટલેથી મામલો અટકતો નથી અને તેઓ આ વ્યક્તિ સામે પ્રોહીબીશન એટલે કે દારુ પીધેલી બાબતને લઈને નશામાં તોફાન કરવા મામલે ફરિયાદ પણ દાખલ કરી દે છે. પોલીસનું બાવડું પકડ્યું અને તે પછી જે ઘટના ઘટી તેની કોઈ ફરિયાદ નથી. અહીં તો જાણે ફરિયાદ એક જ તરફી હોય. પોલીસા હાથ ફેરાને લઈને પોલીસ મૌન છે. હાલમાં જ આ મામલામાં આ તમામ બાબતો પર પોલીસનો પક્ષ જાણવા માટે પીઆઈનો સંપર્ક પણ કરવામાં આવ્યો પરંતુ તેમણે કોલ આન્સર ના કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમને વોઈસ મેઈલ અને મેસેજ દ્વારા પણ સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા પરંતુ તેમણે જવાબ આપ્યો નથી. તેઓ જ્યારે આ બાબત પર કોઈ જવાબ આપે છે તો તમને અમે તેમના પક્ષે શું કહેવું છે તે પણ જણાવીશું. આ મામલે સુરેન્દ્રનગરના એસપી ગીરીશ પંડ્યાને પણ આ મામલે કોલ કરીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોલ પણ નો આન્સર થયો હતો. પરંતુ હવે નવી અપડેટ મળી છે અને તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે તેમાં તેમણે આ ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું છે. મૃતકના સગાને લાફા લાતો ઢીકા મારવા અંગે ખાસ તપાસ ધ્રાંગધ્રા DySP એચ.ડી. પુરોહિતને સોંપવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








