નવજીવન ન્યૂઝ. સુરત: સુરતની તાપી નદીના કાંઠેથી મળી આવેલા બે મૃતદેહો મામલે સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે આ મૃતદેહ દંપતિના હતા અને પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકવા મિત્રની મદદ લીધી હતી. પરંતુ આ જ મિત્રએ હત્યારા પતિની હત્યા કરી પત્ની સાથે તેનો પણ મૃતદેહ નદીમાં ફેંકી દિધો હતો. ડબલ મર્ડરની મીસ્ટ્રી સામે આવતા આ કેસની તપાસમાં સુરત ક્રાઇમબ્રાંચ પણ જોડાઈ હતી. આ હત્યાના મામલાનો ભેદ ઉકેલતા ક્રાઇમબ્રાંચે આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
મળતી વિગતો અનુસાર ગતરોજ તારીખ 29 મેના રોજ સુરતની તાપી નદીના કાંઠેથી બે મૃતદેહો મળી આવ્યા હતા. પુરૂષ અને સ્ત્રીના મૃતદેહ મળી આવતા પોલીસ પણ શરૂઆતમાં ચકરાવે ચઢી હતી. બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે મૃતક બંને પતિ-પત્ની છે. પરંતુ પતિ-પત્નીની હત્યા કોણે અને કેવી રીતે કરીએ કોયડો ઉકેલવા મથી રહેલી પોલીસને હાથ શરૂઆતમાં સફળતા લાગી ન હતી. પરંતુ મામલાની ગંભીરતા પારખી આ તપાસમાં સુરત ક્રાઇમબ્રાંચ પણ જોડાઈ હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો.
સુરત ક્રાઇમબ્રાંચે તપાસનો દોર આગળ વધરાતા સામે આવ્યું હતું કે મૃતક મહિલા કલ્પનાને પતિ કોશિકને તેના મિત્રની પત્ની સાથે સબંધ હોય તેવી જાણકારી મળી હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પરિણામે ગુસ્સે થયેલા પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. હત્યારા પતિએ પત્નીની હત્યા કરી તેના મૃતદેહને ઠેકાણે પાડવા માટે પોતાના મિત્રની મદદ લીધી હતી. આરોપી પતિ કૌશિક રાઉત તેનો મિત્ર અક્ષય મૃતદેહને તાપી નદીમાં ફેંકવા ગયા હતા. પરંતુ આ સમયે આરોપી કૌશિકના મિત્ર અક્ષયે તેના મિત્રની પણ હત્યા કરી નાખી હતી અને બંને પતિ-પત્નીના મૃતદેહ તાપી નદીમાં ફેંકી દિધા હતા.
બંને મૃતદેહ નદીમાં ફેંકી આરોકી અક્ષય ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને પોતાના વતન ઝાલોદ ખાતે જતો રહ્યો હતો. દરમિયાન સુરતમાં તાપી નદીના કાંઠેથી મૃતદેહો મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ક્રાઇમબ્રાંચે મૃતકના મોબાઈલ ફોન અને કોલ ડિટેઈલની તપાસ કરતા શંકાની સોય આરોપી અક્ષય તરફ ગઈ હતી અને તે દિશામાં વધુ તપાસ કરતા સમગ્ર કારસ્તાન ખુલ્લું પડી ગયું હતું.
ડબલ મર્ડર મામલે ક્રાઇમબ્રાંચે આરોપી અક્ષયની ઝાલોદ ખાતેથી ધરપકડ કરી પુછપરછ કરતા તેણે વટાણા વેરી દિધા હતા. અક્ષયે કબૂલાત કરતા પોલીસને જણાવ્યું હતું કે, ‘કૌશિક રાઉત મારો નાનપણનો મિત્ર હતો. તે 15 દિવસ પહેલા તેની પત્ની સાથે મારા ઘર પર રોકાયો હતો. દરમિયાન કૌશિક અને મારી પત્ની રીના (નામ બદલેલ છે.) વચ્ચે આંખ મળી ગઈ હતી. જેના કારણે બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. આ વાતની જાણ કૌશિકની પત્ની કલ્પનાને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં કલ્પનાએ રીના સાથે પણ આ બાબતે ઝઘડો કર્યો હતો.’
આરોપી અક્ષયે હત્યાની કબૂલાત કરતા કહ્યું હતું કે, સમગ્ર પ્રેમ પ્રકરણના કારણે કૌશિકે તેની પત્ની કલ્પનાની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. તેણે હત્યા કરી કલ્પનાનો મૃતદેહ કોથળામાં ભરી તાપી નદીમાં ફેંકવા માટે અક્ષયની મદદ લીધી હતી. ત્યારબાદ પોતાની પત્ની સાથે કૌશિકના સબંધ હોવાની વાતનો ખાર રાખી અક્ષયે કૌશિક સાથે ઝઘડો કરી તેના માથામાં પથ્થરના ઘા મારી હત્યા નિપજાવી હતી.
અક્ષયે કૌશિકની ઘટનાને અંજામ આપી કલ્પના સાથે કૌશિકના મૃતદેહને પણ તાપી નદીમાં ફેંકી દિધો હતો. બાદમાં તે સમગ્ર પ્રકરણમાં ઝડપાઈ ન જાય તે માટે પોતાના વતન ઝાલોદ જવા રવાનો થઈ ગયો હતો. મહત્વની વાત છે કે પોલીસે આ સમગ્ર કેસની ઝીણવટ ભરી તપાસ કરી આરોપી અક્ષયને ઝાલોદ બસ સ્ટેશન ખાતેથી ઝડપી લીધો હતો.








