નવજીવન ન્યૂઝ, અમદાવાદ : 20 જુલાઈ 2023ના રોજ 141.27 કિમીની ઝડપે આવતી જગુઆર કારના ચાલકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી (ISKCON bridge accident) અનેક લોકોને કચડી નાંખતા 9ના મોત થયા હતા. જ્યારે 13 લોકોને ઈજા પહોંચી હતી. કાર ચાલક તથ્ય પટેલે (Tathya Patel case) સર્જેલો ગમખ્વાર અકસ્માત દિવસો સુધી મીડિયામાં ચમકતો રહ્યો. ધરપકડ થઈ ત્યારથી તથ્ય પટેલ જેલવાસ ભોગવી રહ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન પર મુક્ત કરવા હુકમ (Supreme Court grants bail to Tathya Patel) કર્યો છે, પરંતુ તે હજી સુધી બહાર આવી શક્યો નથી.
જેલમાંથી છૂટવા માટે અનેક વખત તથ્ય પટેલ પ્રયાસ કરી ચૂક્યો છે. આ વખતે સુપ્રીમ કોર્ટ તથ્ય પટેલને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવાની સાથે સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને આર્થિક રકમ આપવા પણ કહ્યું છે. એક કરોડ રૂપિયા ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાની શરતે તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન મુક્ત કરવા આદેશ (Supreme Court orders Tathya Patel to deposit Rs 1 crore) આપ્યો છે. તથ્ય પટેલનો પરિવાર ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ જમા કરાવશે ત્યારબાદ જ તેનો જેલમાંથી જામીન પર છૂટકારો થશે.








