નવજીવન ન્યૂઝ. સુરત: : ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના એસ.આર.પી. જવાનોની લગભગ ૩૫ ટુકડીઓ ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઇ છે. તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી વહેલી સવારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશને પહોંચીને આજે બપોરે ૧:૩૦ વાગ્યે “ઇલેક્શન એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન” મારફતે યુ.પી. જવા રવાના થશે. અને આવતીકાલે સવારે 7:30 વાગ્યે સત્તરગંજ રેલવે સ્ટેશન પહોંચશે. જે અન્વયે વડોદરા એસ.આર.પી. કેમ્પની બસ પણ વહેલી સવારે પોતાની ટીમના ૨૭ જવાનોને લઈને સુરત જવા રવાના થઈ હતી.
વડોદરા એસ.આર.પી. કેમ્પના જવાનોની બસ ઉધના રેલ્વે સ્ટેશને પહોંચે તે પહેલા જ રસ્તામાં સુરત જિલ્લાની હદમાં આવેલા સિયાલાજ ગામની બાજુમાં કીમ ચાર રસ્તા પાસે વહેલી સવારે જવાનોની બસ અને ખાનગી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જવાનોની બસના ચાલકે રસ્તા પર ઊભેલી ખાનગી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ અકસ્માત થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર બસમાં બેઠેલા ૨૭ જવાનો પૈકી ૧૭ જવાનોને ઇજા પહોચી છે. તેમાંથી ૪ જવાનોને ગંભીર પ્રકારની અને ૧૩ જવાનોને સામાન્ય નાની-મોટી ઇજાઓ થઈ છે. તમામ ઇજાગ્રસ્ત જવાનોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તથા ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ સ્ટેશન અને સ્થાનિક એસ.આર.પી.ની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












