નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness Relief) ને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાથી લાખો પેન્શનરોને સીધો લાભ મળશે. Supreme Court ના જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કરતા ઓછો રાખી શકે નહીં. મોંઘવારી સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓને સમાન રીતે અસર કરે છે. તેથી તેમની વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થાને લઈને આપેલા ચુકાદા (Supreme Court Verdict on DA) બાદ હવે સરકારો પેન્શનરો સાથે મોંઘવારીના લાભો બાબતે અન્યાય કરી શકશે નહીં.
કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, મોંઘવારી ભથ્થાનો હેતુ વધતી કિંમતો અને જીવન નિર્વાહના ખર્ચ સામે રક્ષણ આપવાનો છે. કેરળ સરકારે નબળી નાણાકીય સ્થિતિનું બહાનું કાઢીને પેન્શનરોને ઓછી રાહત આપવાની દલીલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓ ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ તે બે સમાન જૂથો વચ્ચે ભેદભાવ કરવાનું બહાનું બની શકે નહીં.
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ (Kerala High Court) ના નિર્ણયને માન્ય રાખ્યો છે અને જણાવ્યું છે કે, રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોની અવગણના ન કરી શકાય. આ નિર્ણય દેશભરના સરકારી પેન્શનરો માટે રક્ષણ સમાન સાબિત થશે. કારણ કે હવે કોઈપણ રાજ્ય સરકાર પગાર સુધારણા કે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ભેદભાવ કરતા પહેલા સો વાર વિચાર કરશે. પેન્શનરો માટે આ એક મોટી રાહત છે જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે.








