Tuesday, July 28, 2026
HomeNationalઅનુગ્રહ સહાયની રકમના કારણે આશ્રિત માતાનો વળતરનો હક છીનવી શકાય નહીં: સુપ્રીમ...

અનુગ્રહ સહાયની રકમના કારણે આશ્રિત માતાનો વળતરનો હક છીનવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

- Advertisement -

Supreme court New delhi: સુપ્રીમ કોર્ટે મોટર અકસ્માત વળતર સંબંધિત એક મહત્વના કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારની અનુગ્રહ સહાય યોજના હેઠળ મળતી નાણાકીય સહાયને મોટર વાહન અધિનિયમ હેઠળના વળતરમાંથી ઘટાડવામાં આવી શકે છે, પરંતુ તેનાથી આશ્રિત માતાના સ્વતંત્ર કાનૂની હક્કનો અંત આવી શકતો નથી. કોર્ટે કહ્યું કે જો માતા રાજ્યની સહાય યોજના માટે પાત્ર ન હોય, તો પણ તેને પુત્રના મૃત્યુ બદલ મળતા વળતરમાંથી વંચિત રાખી શકાય નહીં.

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે હરિયાણા પોલીસના દિવંગત કોન્સ્ટેબલ સચિન કુમારના કેસમાં આ ચુકાદો આપ્યો હતો. વર્ષ 2012માં માર્ગ અકસ્માતમાં સચિન કુમારનું મોત થયું હતું. તેમના પરિવાર તરફથી પત્ની, સગીર પુત્રી, માતા અને પિતાએ મોટર અકસ્માત વળતરની માંગણી કરી હતી.

- Advertisement -

મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે પરિવારને રૂ. 37.30 લાખનું વળતર ફટકાર્યું હતું. જોકે પિતાને આશ્રિત ગણવામાં આવ્યા નહોતા કારણ કે તેઓ નિવૃત્ત સરકારી કર્મચારી હતા અને પેન્શન મેળવી રહ્યા હતા.

બાદમાં વીમા કંપનીની અપીલ પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું હતું કે પરિવારને હરિયાણા સરકારની 2006ની અનુગ્રહ સહાય યોજના હેઠળ મૃતકના છેલ્લા પગાર જેટલી નાણાકીય સહાય 15 વર્ષ સુધી મળશે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાના આધારે હાઈકોર્ટે આ સહાયની રકમ વળતરમાંથી ઘટાડીને કુલ વળતર રૂ. 7.70 લાખ સુધી મર્યાદિત કરી દીધું હતું.

સુપ્રીમ કોર્ટમાં પરિવાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે મૃતકની માતા 2006ની યોજના હેઠળ કોઈપણ સહાય મેળવવા પાત્ર નથી. તેથી તેના હિસ્સાનું વળતર ઘટાડવું યોગ્ય નથી. કોર્ટે આ દલીલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે માતાને યોજના હેઠળ લાભ મળતો નથી, પરંતુ પુત્રના અચાનક અવસાનથી થયેલી તેની વ્યક્તિગત અને કાનૂની ક્ષતિનું મહત્વ ઓછું થઈ જતું નથી.

- Advertisement -

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે માતાને વળતર ન આપવાથી તેનો સીધો લાભ વીમા કંપનીને મળશે, જે ન્યાયસંગત ગણાય નહીં. તેથી આશ્રિતતા બદલ ફટકારાયેલા વળતરમાંથી એક તૃતીયાંશ હિસ્સો માતાને આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય સાથે સુપ્રીમ કોર્ટે પરિવારને મળનાર કુલ વળતરની રકમ રૂ. 7.70 લાખમાંથી વધારીને રૂ. 19.01 લાખ કરી છે. કોર્ટે વીમા કંપની અને અન્ય જવાબદાર પક્ષોને આ રકમ વ્યાજ સહિત આઠ અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ ચુકાદાને આશ્રિત માતા-પિતાના અધિકારોને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે અને ભવિષ્યના સમાન કેસોમાં તે માર્ગદર્શક બની શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular