NEET UG EXAM 2026: NEET-UG 2026ની પુનઃ પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં 21 જૂને યોજાનારી NEET-UG 2026ની રી-એગ્ઝામ હાલના પેન અને પેપર મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી જુલાઈ મહિનામાં રાખી છે.
આ મામલે જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીની શરૂઆતમાં જ બેન્ચે અરજદાર પક્ષના વકીલને સ્પષ્ટ કરી દીધું હતું કે આ અરજી પર તાત્કાલિક વિચારણા કરવા કોર્ટ તૈયાર નથી.
અરજદાર તરફથી હાજર વકીલ સત્યમ સિંહે દલીલ કરી હતી કે તેમના અસીલની માંગ માત્ર એટલી છે કે 21 જૂને યોજાનારી NEET-UG 2026ની પુનઃ પરીક્ષા પરંપરાગત લેખિત પદ્ધતિના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજવામાં આવે. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના મુદ્દાઓ સાથે સંબંધિત અરજીઓ અગાઉ પણ ફગાવી દેવામાં આવી છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિંહાએ નોંધ્યું હતું કે પરીક્ષા રદ થવી અને ફરી યોજવી એ પોતે જ મોટી પ્રક્રિયા છે અને સંબંધિત એજન્સીઓ પર પહેલેથી જ ભારે દબાણ છે. જ્યારે અરજદાર પક્ષે ફરી CBT મોડની માંગ પર ભાર મૂક્યો ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.
જસ્ટિસ નરસિંહાએ જણાવ્યું હતું કે આ મામલો રજાઓ બાદ સુનાવણી માટે લેવામાં આવશે. આ અરજીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારાની માંગ કરતી અન્ય એક અરજી સાથે જોડવામાં આવી છે.
સુનાવણી દરમિયાન બેન્ચ આરજેડી સાંસદ સુધાકર સિંહ અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર પણ વિચારણા કરી રહી હતી, જેમાં NEET પરીક્ષા સંબંધિત વિવિધ પ્રકારની રાહતો માગવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 29 મેના રોજ સુપ્રીમ કોર્ટે NEET-UG 2026ની પરીક્ષા પેપર લીકના કારણે રદ થવાની ઘટનાને “ટ્રોમેટિક” ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ પરીક્ષા સાથે લાખો વિદ્યાર્થીઓની લાગણીઓ અને ભવિષ્યની આશાઓ જોડાયેલી હોય છે. કોર્ટે પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સંઘ લોક સેવા આયોગ (UPSC) પાસેથી શીખવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે જવાબદારી ચોક્કસ વ્યક્તિઓની હોવી જોઈએ. સુનાવણી દરમિયાન કોર્ટને એવી પણ જાણ કરવામાં આવી હતી કે NEET પેપર લીક મામલે કોઈ ખામી ન રહે તે માટે વડાપ્રધાન પોતે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.








