Saturday, November 8, 2025
HomeGujaratAhmedabadએક સ્ત્રીને મારવા ટોળું નીકળ્યું હતું. શિવાનીએ કહ્યું, "તેને આપણાં ઘરે લઈ...

એક સ્ત્રીને મારવા ટોળું નીકળ્યું હતું. શિવાનીએ કહ્યું, “તેને આપણાં ઘરે લઈ આવો.”

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-28): શિવાનીની (Shivani Dayal) તબિયતને કારણે હું અને શિવા ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર શોધી રહ્યાં હતાં, પણ તે અમારાં બજેટ બહાર જઈ રહ્યું હતું. ત્યારે મને નવજીવન ટ્રસ્ટના (Navajivan Trust) મૅનેજિંગ ટ્રસ્ટી અને મારા મિત્ર વિવેક દેસાઈનો ફોન આવે છે એટલે હું વિવેકને મળવા તેની ઓફિસમાં જઉં છું. વિવેકને મળ્યો એટલે તરત મૂળ વાત પર આવતાં તેણે કહ્યું, “તું ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર શોધી રહ્યો છેને?”

મેં કહ્યું, “હા.”

- Advertisement -

તેણે તરત કહ્યું, “તને વાંધો ન હોય અને પસંદ પડે તો હું જ્યાં રહું છું, તે નવજીવન બ્લોકમાં એક ઘર ખાલી થઈ રહ્યું છે. જો તને પસંદ આવે તો તું નવજીવન બ્લોકમાં રહેવા આવી જા.”

હું થોડીવાર વિચાર કરતો રહ્યો પછી કહ્યું, “એક વખત શિવાનીને ઘર બતાડું પછી નક્કી કરું.”

તે જ દિવસે હું શિવાનીને લઈ નવજીવન બ્લોકમાં આવ્યો. ગેટમાં દાખલ થતાં બરાબર સામે 14 નંબરનું ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર હતું. શિવાની પહેલી નજરે જ ઘર અને નવજીવનના માહોલના પ્રેમમાં પડી ગઈ. તેના ચહેરા પર સ્મિત હતું. તેનો ચહેરો કહી રહ્યો હતો કે, તેને આ ઘર ગમી ગયું છે! આ ઘર પસંદ પડવા પાછળનું બીજું કારણ એવું હતું કે, પત્રકાર કોલોનીમાં, હું જ્યાં રહેતો હતો તે ઘર એટલું મોટું હતું કે, બાળકો પોતાનાં રૂમમાં ભરાઈ રહેતાં હતાં. શિવાનીને આ વાત જરા પણ ગમતી નહોતી એટલે તે કહેતી, “ઘર તો નાનું જ હોવું જોઈએ. આપણે એકબીજાંને જોઈ શકીએ એટલા નજીક હોવા જોઈએ.”

- Advertisement -

મેં વિવેકને કહ્યું, “અમને ઘર ગમ્યું છે.”

1 ડિસેમ્બર 2016ના રોજ અમે પત્રકાર કોલોની છોડી નવજીવન બ્લોકમાં રહેવા આવી ગયાં. પત્રકાર કોલોનીનું ઘર છોડતાં શિવાનીને ખૂબ દુઃખ થયું હતું. નીકળતી વખતે ઘરનો દરવાજો પકડી તેણે કહ્યું, “આ મારું ઘર છે.”

મેં તેની આંખોમાં જોતાં કહ્યું, “તારું જ ઘર છે, તારું જ રહેશે.”

- Advertisement -

નવજીવનમાં રહેવા આવી પછી શિવાની ખૂબ ખુશ હતી. આસપાસ રહેલાં વૃક્ષો અને આંગણાંમાં આવતાં પક્ષીઓને કારણે જાણે તેને નવો ઓક્સિજન મળ્યો હોય તેવું લાગતું હતું. ક્યારેક પત્રકાર કોલોનીમાં રહેતાં જૂના પાડોશી મળી જાય અને પૂછે કે, ક્યારે પાછા આવશો? ત્યારે તે કહેતી, “ના રે! હવે હું પાછી નહીં આવું. નવજીવનને કારણે મારી જિંદગીનાં પાંચ–સાત વર્ષ વધી ગયાં છે.”

રોજ સાંજે ચાર વાગે એટલે અમારાં ઘરના દરવાજા પર એક મોર આવે. શિવાની દરવાજામાં તેની રાહ જોતી બેઠી હોય. મોર આવે એટલે શિવાની તરત રસોડમાં જઈ તેના માટે રોટલી લઈ આવે. આ મોરને પણ શિવાની ઉપર એટલો ભરોસો હતો કે, શિવાની રોટલીના ટુકડા કરે એટલે શિવાનીના હાથમાં જ મોર રોટલી ખાતો હતો. આમ નવજીવનમાં તેની પાસે ખુશ રહેવાના ઘણાં કારણો હતાં. નવજીવનમાં આવ્યા પછી તેને નવાં મિત્રો મળ્યાં હતાં. વિવેક અને તેની પત્ની શિલ્પા, પાડોશમાં રહેતો હિમાંશુ અને તેની પત્ની શર્વરી અને બહુ પછી રામ મોરી પણ આવ્યો. શિવાનીને આંગણાંમાં હિંચકો ખૂબ ગમતો એટલે હું હિંચકો લઈ આવ્યો હતો. શિવાની સવાર–સાંજ તમને હિંચકા પર જોવા મળે. શિલ્પા તેનાં ઘરના ઓટલા ઉપર ઊભી રહી મારાં ઘર તરફ જોતી અને પછી હિંચકે ઝુલી રહેલી શિવાની સામે જોઈ કહે, “સંતોકબા બેઠાં છે.”

હિમાંશુ મારા ઘરે આવે તેની સાથે શિવાની કહે, “હિમાંશુ! બૂટ બહાર કાઢી આવ.”

ઘરમાં આવનાર કોઈએ ઘરમાં ચંપલ પહેરીને આવવું નહીં; તેવો શિવાનીનો તીવ્ર આગ્રહ હતો. અમને તો તે ટોકે પણ કોઈ મહેમાન આવ્યા હોય તો પણ કહે, ચંપલ બહાર કાઢી આવશો. શિવાની એવું માનતી કે, ચંપલ પહેરી ઘરમાં આવો એટલે નકારાત્મકતા પણ આવે. શિવાની ઘર એકદમ સાફ રાખે; એટલે હિમાંશુ કહેતો, “ભાભી! તમારું ઘર ઑપરેશન થિએટર કરતાં પણ ચોખ્ખું હોય છે! કોઈનું ઑપરેશન કરીએ તો પણ ઇન્ફેક્શન લાગે નહીં.”

રામ મોરી જાણ કર્યા વગર ગમે ત્યારે ટપકી પડે. હું રામને ઠપકો આપતાં કહું, “રામલા, કીધા વગર આવવાનું નહીં.”

રામ કહેતો, “હું તમારાં ઘરે આવ્યો નથી, હું મારી વહીનીનાં ઘરે આવ્યો છું.”

પછી રામ સાચી–ખોટી મરાઠી બોલી શિવાની સાથે ગપ્પા મારતો બેસી રહે. જ્યાં સુધી મિત્રતા થાય નહીં ત્યાં સુધી શિવાની કોઈની સાથે વાત કરે નહી. હું કોઈની સાથે વાત કરતો હોઉં ત્યારે તે સામેની વ્યકિત મારા માટે કેટલી સેઇફ છે તેનું સતત મૂલ્યાંકન કરતી રહે. તેમાં પણ જો હું કોઈ સ્ત્રી સાથે વાત કરતો હોઉં ત્યારે તેનું ઑબ્ઝર્વેશન જરા કડક થઈ જાય. પછી તે મને એકલામાં કહે, “મને પેલી બરાબર લાગતી નથી.”

હું પૂછું, “કેમ?”

એટલે તે કહે, “કેમ… તેની મને ખબર નથી.”

હું હસી પડતો. મને ખબર હતી, તેની તબિયતને કારણે તેને સતત એવો ડર રહેતો કે, મને કોઈ બીજી સ્ત્રી ગમવા લાગશે તો? પણ તેને મારી બે મિત્રો ઉપર પાક્કો ભરોસો હતો. જેમાં એક હતી લક્ષ્મી પટેલ અને બીજી હતી ગોપી મણિયાર. આ બંને મિત્રોને પુછ્યાં અને જાણ કર્યાં વગર ઘરે આવવાનો શિવાનીએ અધિકાર આપ્યો હતો. લક્ષ્મી તો હસતાં હસતાં શિવાનીને કહેતી, “ભાભી! આ તો તમે વહેલાં જન્મ્યાં એટલે; બાકી દાદાને તો હું જ લઈ જતી!”

લક્ષ્મીની આ મજાકને પછી શિવાની પણ આગળ વધારતી હતી. એક વખત લક્ષ્મી અમારાં ઘરે આવી હતી. જતી વખતે તે શિવાનીને પગે લાગી. મને અને શિવાનીને આશ્ચર્ય થયું, લક્ષ્મી પગે કેમ લાગી? લક્ષ્મીએ હસતાં હસતાં કહ્યું, “આજે એક અખબારમાં ઇન્ટરવ્યૂ આપવા જઉં છું અને જો સૌતનને પગે લાગી નીકળો તો કામ થઈ જાય!”

શિવાનીએ તેનાં માથા ઉપર હાથ મૂકતાં કહ્યું, “તારું કામ થઈ જશે.”

આમ લક્ષ્મી ઉપર તેને અપાર શ્રદ્ધા અને પ્રેમ હતો. આવું જ તેને ગોપી મણિયાર અને ઉજ્જવલ ઓઝા માટે હતું. જો દસ–પંદર દિવસ થયા હોય અને ગોપી ને ઉજ્જવલ ઘરે ન આવે તો શિવાની મને તરત પુછતી, “ગોપી સાથે ઝઘડો તો કર્યો નથીને?”

ક્યારેક એવું પણ બને… કોઈ કારણે હું ડાઉન જતો હોઉં, મને કામ કરવાની ઇચ્છા જ થાય નહીં. હું માનતો કે મારાં મનમાં ચાલી રહેલી ગડમથલની શિવાનીને ખબર પડતી નથી, પણ તે તરત ખાનગીમાં ગોપીને ફોન કરે અને કહે, “તમારા દાદા હમણા ડાઉન છે. કામ કરતા નથી. ઘરે આવી તેમની સાથે વાત કરજો.”

સાથે તાકીદ પણ કરે, “મેં તમને ફોન કર્યો હતો તેવું કહેતાં નહીં. કારણ કે તેમને ગમશે નહીં.”

આમ ગોપી, ઉજ્જવલ અને લક્ષ્મી આવે એટલે અમારાં ગપ્પા કલાકો સુધી ચાલે. એટલે જ શિવાની કહેતી લક્ષ્મી અને ગોપી મારી સૌતન છે! પણ શિવાનીની એક ખાસિયત હતી, જો કોઈ સ્ત્રી ઉપર મુશ્કેલી આવે તો પછી તે અજાણી હોય તો પણ તેની પડખે ઊભા રહેવાની તેની તૈયારી હતી. આવી જ એક ઘટના ઘટે છે.

દેહ વ્યાપાર કરતી સ્ત્રીને મારવા કેટલાક લોકો નીકળ્યા હતા. આ વાતની જાણ જ્યારે મને થઈ ત્યારે શિવાનીએ મને કહ્યું, “એને લઈ આવો. આપણાં ઘરે તેને આપણે સાચવીશું.”

હું શિવાની સામે જોઈ રહ્યો. કારણ, તે દેહ વ્યાપાર કરતી એક સ્ત્રીને પોતાનાં ઘરે રાખવાની વાત કરી રહી હતી!

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular