નવજીવન ન્યૂઝ. ભરૂચઃ ગુજરાતમાં આંગડિયા અને સોનાના વેપારીને ટાર્ગેટ બનાવીને લૂંટ ચલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના ભરૂચથી સામે આવી છે. અમદાવાદનો સોનાનો વેપારી ભરૂચ દાગીનાની ડિલિવરી આપવા માટે જતો હતો. તે દરમિયાન રસ્તામાં બંદુકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. એક કરોડથી વધુના કિંમતની લૂંટ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં સોના-ચાંદીનો વેપાર કરતાં મુકેશ સોની સોનાના દાગીના લઈને ઝણોર તરફ જઈ રહ્યા હતા. તેમણે કારમાં રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ફિલ્મી સ્ટાઈલમાં બે અજાણી કારે તેમની કારની આગળ પાછળ ચાલવા લાગી હતી. આ બે કારે મુકેશ સોનીની કારને થોભાવીને બંદુક બતાવી કારમાંથી 200 તોલા સોના અને પાંચ લાખ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
સોનાનો વેપારી ઝનોરમાં દાગીનાની ડિલિવરી આપવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. વેપારી અવાર-નવાર ભરૂચ જિલ્લાના સોનાના વેપારીઓના દાગીનાના ઓર્ડર લઈને સમાંયતરે ડિલિવરી કરવા માટે જતો હતો. આ બાબતનું ધ્યાન લૂંટારુએ રાખીને લૂંટ ચલાવી હોવાનું અનુમાન છે.
લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સહિતના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. પોલીસે આ રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ અને હોટલોના CCTV ફુટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ ઝનોર નજીકના તમામ એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરીને પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. લૂંટારૂઓ નેશનલ હાઈવે તરફ પલાયન થયા હોવાની પોલીસને શંકા છે. જેથી ટોલબુથ પર પણ પોલીસે તપાસ શરૂ કરી છે.








