નવજીવન ન્યૂઝ નેટવર્ક.કલકત્તાઃ કલકત્તા હાઈકોર્ટે આરજી કર રેપ-હત્યા કેસમાં લાગેલા આરોપોની નવા સિરેથી તપાસ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ સીબીઆઈના સંયુક્ત નિર્દેશક (પૂર્વી ક્ષેત્ર)ના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવશે, જે પુરાવાઓ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાના આરોપોની ફરી તપાસ કરશે.
હાઈકોર્ટે સીબીઆઈને ઘટના બનેલી 9 ઓગસ્ટ 2024ની રાત્રે પીડિતા ટ્રેઇની ડૉક્ટરે ભોજન લીધા બાદથી લઈને તેમના અંતિમ સંસ્કાર સુધીની તમામ ઘટનાઓની વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ દરમિયાન સીબીઆઈને જરૂરી લાગે તેવી કોઈપણ વ્યક્તિની પૂછપરછ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. વિશેષ તપાસ ટીમ પીડિત પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ ચકાસણી કરશે.
હાઈકોર્ટે સીબીઆઈને 25 જૂન સુધી તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તે જ દિવસે કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
આરજી કર હોસ્પિટલમાં 9 ઓગસ્ટ 2024ની રાત્રે ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો. કેસમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે પુરાવાઓ નષ્ટ કરવામાં આવ્યા અને ઘટના બાદ તરત જ મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો.
ન્યાયમૂર્તિ શમ્પા સરકાર અને ન્યાયમૂર્તિ તીર્થંકર ઘોષની ખંડપીઠે જણાવ્યું કે સીબીઆઈના સંયુક્ત નિર્દેશક (પૂર્વી ક્ષેત્ર) SITનું નેતૃત્વ કરશે, જ્યારે બાકીના બે સભ્યોની પસંદગી કોર્ટના આદેશ બાદ 48 કલાકની અંદર કરવામાં આવશે. ખંડપીઠે નોંધ્યું કે આ ભયાનક ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને પુરાવાઓ નષ્ટ કરવા અને કેસ દબાવવાના આરોપોની તપાસ જરૂરી છે.
પીડિતાના માતા-પિતાએ તેમની દીકરી સાથે બળાત્કાર અને હત્યાની વિસ્તૃત તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ જઘન્ય ગુનામાં એકથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. આ કેસમાં નાગરિક સ્વયંસેવક સંજય રોયને ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.








