POK Firing: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં મૂળભૂત હકો અને સુવિધાઓની માંગને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 32 નાગરિકોના મોત થયા હોવાના દાવાઓ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે ભારતે પણ પાકિસ્તાનની ટીકા કરતાં કડક પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ખોટા સમાચાર અને ભ્રામક વીડિયો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાન દ્વારા પોતાની નિષ્ફળતાઓ અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
રણધીર જયસવાલે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પોલીસની બર્બરતાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં અનેક પ્રદર્શનકારીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનને તેના કથિત અત્યાચાર અને દુરાચાર માટે જવાબદાર ઠેરવવાની અપીલ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ.પી. વૈદ્યએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે PoKમાં સામાન્ય નાગરિકો સામે જે કાર્યવાહી થઈ રહી છે તે અત્યંત ચિંતાજનક છે. તેમના જણાવ્યા અનુસાર લોકો લોટ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ સસ્તી કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમની સામે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી PoKના લોકો પાકિસ્તાન સરકાર અને ત્યાંની સ્થાનિક સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે તેમને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેમના વિસ્તારના કુદરતી સંસાધનોનો ઉપયોગ તો થાય છે, પરંતુ સ્થાનિક લોકોને તેનો લાભ મળતો નથી.
આ વિરોધ વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે પ્રશાસને જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) સાથે જોડાયેલા કાર્યકરો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અહેવાલો અનુસાર JAACને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે અને 9 જૂને યોજાનારા પ્રસ્તાવિત ‘લૉન્ગ માર્ચ’ પહેલાં સુરક્ષાના નામે અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા.
આંદોલન સાથે જોડાયેલા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે 5 જૂનની રાત્રિથી સમગ્ર PoK વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે સંચાર વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી અને લોકો માટે માહિતીની આપ-લે મુશ્કેલ બની ગઈ હતી.








