નવજીવન ન્યૂઝ. રાજકોટ: આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, જેને લઈને અત્યારથી પુરજોરથી મૂર્તિકારોએ ગણપતિની મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ આદરી દીધી છે. ત્યારે રાજકોટના એક મુર્તિકારને ગણપતિની 9 ફૂટ ઉંચી મૂર્તિ બનાવવા બદલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. શું હતો સમગ્ર મામલો વાંચો આ અહવાલમાં…
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં એક મૂર્તિકારે 9 ફૂટથી પણ ઉંચી ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. ત્યારે આ વાતની જાણ શહેર પોલીસને ધ્યાને આવતા પોલીસે મૂર્તિકારને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન પોલીસને મૂર્તિકારને ત્યાંથી અનેકો 9 ફૂટથી ઉંચી મૂર્તિઓ મળી આવી હતી. જેને લઈને પોલીસે મૂર્તિ બનાવનાર કારીગર પ્રદીપ કૃષ્ણપાલ નામના મૂર્તિકારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મહાનગરો અને જિલ્લાઓમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે 9 ફૂટથી ઊંચી મૂર્તિ નહીં બનાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામાનો ભંગ કરીને આ મૂર્તિકારે અનેકો મૂર્તિઓનું નિર્માણ કરવા બદલ પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કરીને અન્ય જાહેરનામાનો ભંગ કરનાર મૂર્તિકારોને ચેતવણી આપી છે.








