નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ શહેરના જંગ્લેશ્વર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. 15 વર્ષની એક સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં લાવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર ગંભીર શારીરિક શોષણ થયાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાના પિતાની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક સગીરા સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાઈ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, સગીરાને તેની એક બહેનપણીએ વાપરવા માટે મોબાઇલ ફોન આપ્યો હતો, જેમાં પહેલેથી જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખુલ્લું હતું. આ એકાઉન્ટ મારફતે સગીરાનો સંપર્ક ‘ડેવિલ’ નામના પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ સાથે થયો હતો. શરૂઆતમાં મિત્રતાભરી વાતચીતથી વિશ્વાસ જીત્યા બાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, 29 માર્ચ 2026ના રોજ મુખ્ય આરોપીએ સગીરાને મળવા માટે બોલાવી હતી અને તેના સાથીદાર મારફતે સગીરાને લઈ જવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ તેને ધમકાવીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
પીડિતાએ આખરે પરિવારને સમગ્ર ઘટના વિશે જાણ કરતાં મામલો બહાર આવ્યો હતો. પરિવાર તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ પોલીસે ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો અને અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકાની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.








