નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે! આ કહેવત લગભગ દરેક છેતરપિંડીના (Cheating) કિસ્સામાં સાર્થક થતી હોય છે. ત્યારે આવી જ ઘટનાઓ રાજકોટમાં (Rajkot) બની હતી જેમાં વાસણ અને દાગીના ચમકાવવા આવેલા ધૂતારાઓ છેતરપિંડી કરી નાસી ગયા હતા. આમ તો નાની છેતરપિંડી મામલાને પોલીસ ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે તે દિવા સ્વપ્ન જેવું લાગે. પણ રાજકોટ શહેર પોલીસે (Rajkot City Police) ગંભીરતાથી લઈ આવા છેતરપિંડી કરી નાસી ગયેલા ધૂતારાને રીતસર ઑપરેશન ચલાવી પકડી પાડ્યા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર રાજકોટના સ્વામી નારાયણ મંદિર સામેના વિસ્તારમાં આવેલી એક ચાલીમાં તાંબા, પીતળના વાસણ અને ચાંદીનો ગ્લાસ સાફ કરી આપવાની વાત કરી બે શખ્સો બે સોનાની બંગડી લઈ નાસી ગયા હતા. જ્યારે આવી જ બીજી ઘટના શહેરના એરપોર્ટ રોડ નજીકના રેષકોર્ષ પાર્કમાંથી સામે આવી હતી. જેમાં પણ બે મહિલાઓને વિશ્વાસમાં લઈ સોનું ચમકાવી દેવાની વાતોમાં ભોળવી લઈ ચાર સોનાની બંગડી લઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. બંને મામલા રાજકોટ શહેર પોલીસ પાસે આવતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી હતી. અને આજરોજ આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે ગંભીરતાથી આરોપીનું પગેરું શોધવાની શરૂઆત કરી હતી. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બજાજ પલ્સર વાહનની વિગતો મળી હતી. આ વિગતોને આધારે પોલીસ વાહનના માલિક સુધી પહોંચતા ખ્યાલ પડ્યો હતો કે તેણે આ વાહન ઘણા સમય પહેલા જ વેચી નાખ્યું હતું. માટે પોલીસે આ વાહન કોણે ખરીદ્યું તેની વિગતો એક્ત્રિત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આરોપીઓ ગુજરાત છોડી બિહાર પહોંચી ગયા છે. માટે ક્રાઈમ બ્રાન્ચે બિહાર સુધી તપાસના તાર લંબાવ્યા હતા. અને પોલીસે આરોપીઓની હરકત પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ રાજકોટ-અમદાવાદ હાઈવે સ્થિત સાત હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા છે. વિગતો મળતા જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લેવા વૉચ ગોઠવી બિહારના પૂર્ણિયા જિલ્લાના રહેવાસી આરોપી શંકર મોતીલાલ શાહ અને બિહારના કટિહાર જિલ્લાના સમેલીગામના રહેવાસી આરોપી રણજીત રમેશ શાહને ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તેની ક્રાઈમ કુંડળી કાઢતા માલૂમ પડ્યું હતું કે આરોપીઓ રાજ્યમાં વિવિધ સ્થળો પર ગુના આચરી ચૂકયા છે. જેમાં શંકર મોતીલાલ શાહ વિરૂધ્ધ વાંકાનેર, જુનાગઢ, અમદાવાદ, ભુજ અને રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. જેમાં આરોપી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો હતો. સાથે જ પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી હતી.
પોલીસ પુછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને દોઢેક મહિના પહેલા રાજકોટના સ્વામીનારાયણ મંદિર સામેના વિસ્તાર અને એરપોર્ટ રોડ પરના એક મકાનમાંથી દાગીના ચમકાવવાની યુક્તી વાપરી છેતરપિંડી આચરી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે ગુનાના ઉપયોગમાં લીધેલા પલ્સર વાહન, હેલ્મેટ, કીપેડ વાળા ફોન અને રૂપિયા 25,500 રોકડા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ કામગીરમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર વાય.બી. જાડેજા અને પી.એસ.આઈ. એમ.જે. હુણ તેમજ હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવત, કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








