નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 21મી સદીના ગુજરાતમાં આપણે જાતિવાદ મુક્ત વિચારધારાની વાતો તો કરીએ છીએ પણ ગુજરાત સરકારના જ મંત્રી જાતિવાદને પ્રોત્સાહન આપતા હોય તેવા નિવેદનો કરે તો, શું ખરેખર આપણે જાતિવાદ મુક્ત વિચારધારા તરફ જઈ રહ્યા છીએ? તેવો સવાલ ચોક્કસ પુછવો જોઈએ. તાજેતરમાં એક કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘IAS અને IPS જેવા વહીવટી ક્ષેત્રે પાટીદાર સમાજનું (Patidar Samaj) પ્રભુત્વ ઓછું છે, પાટીદાર યુવાનોએ હવે તૈયારીઓ શરૂ કરવી જોઈએ અને UPSC જેવી પરીક્ષાઓ પાસ કરવી જોઈએ.’
અગાઉ પણ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે (Naresh Patel)આવું જ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘સંરપંચથી લઈ સાંસદ અને તલાટીથી લઈ કલેક્ટર સુધી પાટીદાર સમાજના યુવાનોનું પ્રભત્વુ હોવું જોઇએ’. નરેશ પટેલનું આ નિવેદન જે તે સમયે ખૂબ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે માની લઈએ કે નરેશ પટેલ તો પાટીદાર સમાજના જ નેતા છે, પરંતુ રાઘવજી પટેલ તો ગુજરાત રાજ્ય સરકારના મંત્રી છે, એટલે કે તેઓ કોઈ ચોક્કસ જાતિ કે ધર્મના નેતા નથી. વળી તેમને ચૂંટીને મોકલનારી પ્રજાએ પણ તેમને કોઈ નાત-જાત જોયા વગર મત આપી પોતાના પ્રતિનિધિ તરીકે સ્વિકાર્યા છે. ત્યારે તેમનું આ નિવેદન ‘પ્રજાના ભરોસાને ઠેંસ પહોંચાડવા સમાન’ કહેવામાં જરા પણ અતિશ્યોક્તી નથી જણાતી.
મહત્વની વાત છે કે વડોદરામાં લેઉવા પાટીદાર સમાજના છાત્રાલયનું ખાતમુર્હુત કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, “પાટીદાર સમાજ શિક્ષણ અને નોકરી ક્ષેત્રે આગળ છે, પણ વહીવટી ક્ષેત્રમાં પ્રભુત્વ ઘણું ઓછું છે. IAS, IPS જેવા પદો પર પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. પાટીદાર સમાજના યુવાનો વહીવટી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર હોવા જોઈએ.” જેના માટે વિવિધ તાલીમ વર્ગોથી માંડી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે સમાજને આર્થિક મદદ કરવા માટે પણ અનુરોધ કર્યો છે. તેમજ તેજસ્વી, બુદ્ઘિશાળી, વિદ્યાર્થીઓને UPSC ક્ષેત્રે ભવિષ્ય બનાવવા અપીલ કરી હતી.








